ગયા વર્ષે યુએન ધ્વજ હેઠળ સેવા આપતી વખતે પોતાનો જીવ ગુમાવનારા બે ભારતીય શાંતિ રક્ષકોને સંયુક્ત રાષ્ટ્ર મરણોત્તર પ્રતિષ્ઠિત ડેગ હેમરસ્કજોલ્ડ મેડલ એનાયત કરશે. યુએન ડિસએન્જેજમેન્ટ ઓબ્ઝર્વર ફોર્સમાં સેવા આપનારા બ્રિગેડિયર જનરલ અમિતાભ ઝા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં યુએન સ્ટેબિલાઇઝેશન મિશન સાથે તૈનાત હવાલદાર સંજય સિંહને ૨૯ મેના રોજ આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકો દિવસ નિમિત્તે અહીં એક ગૌરવપૂર્ણ સમારોહમાં સન્માનિત કરવામાં આવશે, એમ એક નિવેદનમાં જણાવાયું છે.
નોંધનીય છે કે, ભારત યુએન શાંતિ રક્ષામાં ગણવેશધારી કર્મચારીઓનો ચોથો સૌથી મોટો ફાળો આપનાર દેશ છે. તે હાલમાં અબેઇ, મધ્ય આફ્રિકન રિપબ્લિક, કોંગો ડેમોક્રેટિક રિપબ્લિક, લેબનોન, સોમાલિયા, દક્ષિણ સુદાન અને પશ્ચિમ સહારામાં યુએન શાંતિ કામગીરીમાં ૫,૩૦૦ થી વધુ લશ્કરી અને પોલીસ કર્મચારીઓને તૈનાત કરે છે. પીસકીપર્સ ડે નિમિત્તે વિશ્વ સંસ્થાના મુખ્યાલયમાં સમારોહ દરમિયાન, યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ ૧૯૪૮ થી જીવ ગુમાવનારા ૪,૪૦૦ થી વધુ યુએન શાંતિ રક્ષકોને માન આપવા માટે પુષ્પાંજલિ અર્પણ કરશે. ગુટેરેસ એક સમારોહની અધ્યક્ષતા પણ કરશે જેમાં ગયા વર્ષે યુએન ધ્વજ હેઠળ સેવા આપતા ૫૭ લશ્કરી, પોલીસ અને નાગરિક શાંતિ રક્ષકોને મરણોત્તર ડેગ હેમરસ્કજાેલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.
સેક્રેટરી-જનરલ ૨૦૨૪ ના મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર, ઘાનાના સ્ક્વોડ્રન લીડર શેરોન મ્વિન્સોટ સાયમને અને સીએરા લિયોનના સુપરિન્ટેન્ડેન્ટ ઝૈનબ ગ્બલાને વુમન પોલીસ ઓફિસર ઓફ ધ યર એવોર્ડ પણ એનાયત કરશે. બંને અબેઇમાં યુનાઇટેડ નેશન્સ ઇન્ટરિમ સિક્યુરિટી ફોર્સ સાથે સેવા આપે છે. ગયા વર્ષે, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન સ્ટેબિલાઇઝેશન મિશન સાથે સેવા આપનાર મેજર રાધિકા સેનને ગુટેરેસ તરફથી પ્રતિષ્ઠિત ‘૨૦૨૩ યુનાઇટેડ નેશન્સ મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ‘ મળ્યો હતો.
આ વર્ષના આંતરરાષ્ટ્રીય યુએન પીસકીપર્સ દિવસની થીમ ‘પીસકીપિંગનું ભવિષ્ય‘ છે, જે ભાર મૂકે છે કે ‘પેક્ટ ફોર ધ ફ્યુચર‘ – જે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વિશ્વ નેતાઓ દ્વારા અપનાવવામાં આવ્યું હતું – તેમાં બદલાતી દુનિયામાં શાંતિ જાળવણીને અનુકૂલિત કરવાની પ્રતિબદ્ધતા શામેલ છે, નિવેદનમાં જણાવાયું છે. આ દિવસ માટેના તેમના સંદેશમાં, ગુટેરેસે જણાવ્યું હતું કે “આજે, શાંતિ રક્ષકો વધુને વધુ જટિલ વિશ્વમાં વધુને વધુ જટિલ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. હવે પહેલા કરતાં વધુ, વિશ્વને સંયુક્ત રાષ્ટ્રની જરૂર છે – અને સંયુક્ત રાષ્ટ્રને એવી શાંતિ રક્ષાની જરૂર છે જે આજની વાસ્તવિકતાઓ અને આવતીકાલના પડકારો માટે સંપૂર્ણપણે સજ્જ હોય.”
શાંતિ રક્ષકોની સેવાનું સન્માન કરતા, ગુટેરેસે કહ્યું, “આપણે તેમની સ્થિતિસ્થાપકતા, સમર્પણ અને હિંમતમાંથી પ્રેરણા મેળવીએ છીએ. અને અમે શાંતિ માટે અંતિમ બલિદાન આપનાર તમામ બહાદુર મહિલાઓ અને પુરુષોને યાદ કરીએ છીએ. અમે તેમને ક્યારેય ભૂલીશું નહીં – અને અમે તેમના કાર્યને આગળ ધપાવીશું.” યુએન જનરલ એસેમ્બલી દ્વારા ૨૦૦૨ માં શાંતિ રક્ષામાં સેવા આપતા તમામ પુરુષો અને સ્ત્રીઓને શ્રદ્ધાંજલિ આપવા અને શાંતિના હેતુમાં પોતાનો જીવ ગુમાવનારાઓની સ્મૃતિને માન આપવા માટે આંતરરાષ્ટ્રીય યુએન શાંતિ રક્ષકો દિવસની સ્થાપના કરવામાં આવી હતી.