આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહ યોજાયો

Rudra
By Rudra 2 Min Read

મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે સતત કાર્યરત ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા સોળ વર્ષથી વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કાર્ય કરતી સન્નારીઓને ઉદગમ વુમન અચીવર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સત્તરમા વર્ષે ટ્રસ્ટી સ્વ. ઉષાબેન ધ્રુવકુમાર જોશીની સ્મૃતિમાં બે દિવસીય “ઉષા પર્વ” નું આયોજન કરવામાં આવ્યું છે.

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ, આઈટીસી સંગીત રિસર્ચ એકેડેમી, કોલકત્તા તથા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી ઉષા પર્વ અંતર્ગત ગાંધીનગરના આંબેડકર હોલ ખાતે છઠ્ઠા ઉદગમ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહ યોજાયો હતો. કાર્યક્રમનો હેતુ મહિલા કલાકારોની શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો હતો.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કથકલી જાના (હેડ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ ઇવેન્ટ્સ, આઈટીસી સંગીત રિસર્ચ એકેડેમી, કોલકત્તા), પત્રકાર અને સામાજિક કાર્યકર પાર્થભાઈ ઠક્કર તથા ઉદગમના ઉપાધ્યક્ષ ચાણક્યભાઈ જોષી ઉપસ્થિત રહ્યા હતા. ઉદગમ પરિવારના સભ્યો આશાબેન સરવૈયા, વીણાબેન વોરા, પરમજીતજી કોર, દીપાંશ અને કિરાતના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.મુખ્ય મહેમાન કથકલી જાનાએ ઉદગમના શાસ્ત્રીય સંગીતના સંવર્ધન અને ખાસ કરીને ઉષા પર્વ અંતર્ગત મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહના માધ્યમથી મહિલાઓને પ્રોત્સાહન આપવાના પ્રયાસોના વખાણ કરીને ભવિષ્યમાં પૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.

કાર્યક્રમમાં વાયોલિન વાદક હિન્દોલા સિંહાએ રાગ યમનમાં વિલંબિત અને દ્રુત તીનતાલમાં સુંદર પ્રસ્તુતિ આપી તથા “પાયો જી મેંને રામ રતન ધન પાયો” ભજન રજૂ કર્યું. શાસ્ત્રીય ગાયિકા કસ્તુરી જોશીએ રાગ બિહાગમાં વિલંબિત તાલ તિલવાડામાં બડા ખ્યાલ “ધન ધન રે એરી મેરો લાલ”, બંદિશ “અબહું લાલન મૈ કા જુગ બીત ગઈ”, તરાના “તનન દેતા ન દેરીના” તેમજ મીરાં ભજન “મતવારો બાદર આયે રે, હરી કો કબહું ના લાય રે” રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.તબલા પર આશિષ પોલ અને હાર્મોનિયમ પર અકુલ પંચાલે સંગત આપી હતી.

કાર્યક્રમનું સંચાલન અને સંકલન પારુલ મહેતા અને અનિતા ચાવડાએ ફૂલોની સુંદર રંગોલી બનાવી કાર્યક્રમને વધુ આકર્ષક બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે તમામ કલાકારોને શાલ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટના અધ્યક્ષ ડૉ. મયુરભાઈ જોષી દ્વારા ઋણ સ્વીકાર અને આભારવિધિ કરવામાં આવી હતી.

આ પ્રસંગે હર્શાબા ધાંધલ, જીલુભા ધાંધલ, મિત્તલબેન રાણા, શરદભાઈ જોષી, હેતલબેન ભટ્ટી, પલ્લવી પટેલ સહિત મોટી સંખ્યામાં સંગીતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article