તિરંગો દરેક ભારતીયને એકસૂત્રમાં બાંધે છે, ‘હર ઘર તિરંગા’ અભિયાન વિકસિત ભારતમાં યોગદાન આપવાનો અવસર

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં

અમદાવાદ : શહેરનાં પૂર્વ વિસ્તારમાં વિરાટનગરથી લઈને નિકોલ ખોડિયાર મંદિર સુધી ૩ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ , ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત અન્ય નેતાઓ, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તિરંગા યાત્રાને પગલે રૂટ પરનાં ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. ફુવારા સર્કલ થઈ ઓઢવ રિંગ રોડ તરફ જતો તથા ઓઢવ રિંગ રોડ તરફથી ફૂવારા સર્કલ તરફ આવતો પૂર્વથી પશ્ચિમ તરફનો ૩૦૦ મીટર જેટલો માર્ગ વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો હતો.


આ તિરંગા યાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. દરમિયાન, ‘ભારત માતા કી જય’ના નાદથી અમદાવાદ ગૂંજ્યું ઊઠ્‌યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જનમેદનીને સંબોધિ કહ્યું હતું કે, આપણે ૧૫ ઓગસ્ટે ૭૮ માં વર્ષમાં પ્રવેશ કરીશું.PM નરેન્દ્ર મોદીએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ‘ ની શરૂઆત કરી હતી. જ્યારે ‘તિરંગા અભિયાન‘ વિકસિત ભારતનું પ્રતિક છે. તેમણે કહ્યું કે, ‘હર ઘર તિરંગા અભિયાને’ યુવાઓમાં ઊર્જા ભરી છે. ૧૫મી ઓગસ્ટે દરેક ઘર અને હાથમાં તિરંગો હોવો જાેઈએ. જ્યારે CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વિકસિત ભારત માટે આપણે કર્તવ્યબદ્ધ થવાનું છે. PM નરેન્દ્ર મોદીએ ‘હર ઘર તિરંગા યાત્રા’ને પ્રેરણા આપી છે. તિરંગાયાત્રા થકી દેશને વિકાસ પથ પર લઈ જવાનો છે.

har ghar tiranga 1


કેન્દ્રીય ગૃહ અને સહકારીતા પ્રધાન અમિત શાહે, તિંરગા યાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે સંબોધન કરતા કહ્યું કે, આજે હર ઘર તિરંગા એક કાર્યક્રમના પ્રચાર અને પ્રસાર માટે તિરંગા યાત્રાનું આયોજન દરેક જિલ્લા મથકે કરાયું છે. સમગ્ર દેશભરમાં જુવાનિયામાં ઉર્જા ભરવાનું કામ કરે છે. દેશભક્તિની અભિવ્યક્તિ નહીં, ૨૦૪૭માં વિકસીત ભારતના સંકલ્પનો એક ભાગ બન્યું છે. ૧૫મી ઓગસ્ટે દરેક જગ્યાએ તિરંગો ફરકે અને વાતાવરણ તિરંગામય બને.


નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ માટે ૩ લક્ષ્યાંક રાખ્યા હતા. આઝાદીના લડતનો ઈતિહાસ યાદ કરાવવો. ૭૫ વર્ષમાં દેશે પ્રાપ્ત કરેલ સિદ્ધિઓથી અવગત કરાવવા અને ૭૫થી ૧૦૦ વર્ષની આ યાત્રા દેશના વિકાસ સાથે જાેડાઈ ભારતને સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રે નંબર ૧ બનાવવાનો પુરુષાર્થ કરવા માટે આયોજન કરાયું હતું.
મેડમ ભિખાજી કામાએ પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. તેમની આજે પૃણ્યતિથી છે. તેમને આંદરજલિ અર્પીએ. આઝાદીના ૧૦૦ વર્ષે ભારત સંપૂર્ણ વિકસિત મહાન હોય. દરેક ક્ષેત્રે નેતૃત્વ ભારત કરતું હોય તેવા સંકલ્પને સિદ્ધિ સુધી પહોચાડવાનું છે. ૧૦ વર્ષમાં અનેક ક્ષેત્રે વિશ્વને અંચબિત કરનાર સિદ્ધિ ભારતે પ્રાપ્ત કરી છે. ચંદ્ર પર કોઈ ના પહોચ્યું હોય તે જગ્યાએ ભારતનો તિરંગો લહેરાવ્યો છે. સર્જીક્લ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકથી દુશ્મનના દાંત ખાટા કરી દીધા છે. કોરોનાકાળમાં બે રસી વિનામૂલ્યે આપીને માનવ જીંદગી બચાવી છે. મહાત્મા ગાંધીની સમાધિસ્થળે વિશ્વના અનેક નેતાએ એક જ સમયે અંજલિ આપી હતી. વિશેષ કરીને યુવાનોએ આગળ આવવાની હાકલ કરતા અમિત શાહે કહ્યું કે, જે ક્ષેત્રમાં કામ કરતા હોય તે ક્ષેત્રે શ્રેષ્ઠ આપવું. દરેક જગ્યાએ તિરંગો ફરકાવીને રાષ્ટ્ર ભક્તિ જાગૃત કરીએ. દેશમાં ખાદીનો ઉપયોગ વધે તે માટે વડાપ્રધાને અપિલ કરી છે. ખાદી ફોર ફેશન ખાદી ફોર નેશન દ્વારા ખાદી દ્વારા રોજગારી વધે તે માટે પ્રયાસ કર્યો છે.

Share This Article