ગુજરાત એસ.ટી. નિગમમાં ૨૮૨૮ જેટલા તાલીમાર્થી એપ્રેન્ટિસની ભરતી કરાશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

 રાજ્યના યુવાનોને તેમની શૈક્ષણિક લાયકાત અને આવડત પ્રમાણે રોજગારી ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જેના ભાગરૂપે ગુજરાત એસ.ટી. નિગમમાં વાહનોની મરામતની કામગીરી માટે વિવિધ વિભાગોમાં ૨૮૨૮ જેટલાં જુદા-જુદા મિકેનીક ટ્રેડના ઉમેદવારોની તાલીમાર્થી એપ્રેન્ટિસ તરીકે ભરતી કરવામાં આવશે. જેનાથી તાલીમાર્થીઓને કારકીર્દી બનાવવાની ઉજ્જવળ તકો પ્રાપ્ત થશે.

ગુજરાત એસ. ટી. નિગમના વાહનોના રોજિંદા મેઇન્ટેનન્સની તેમજ વાહનોના રીપેરીંગ અને મરામતની કામગીરી માટે જુદા-જુદા મીકેનીક ટ્રેડના ઉમેદવારોને તાલીમાર્થી એપ્રેન્ટિસ તરીકે તેમજ નિગમે નક્કી કરેલી ટેકનોલોજી જેવીકે, G.P.S., ONLINE BOOKING, I.D.M.S., કોમ્પ્યુટરાઇઝડ કામગીરીને ધ્યાને લેતાં કેટલાંક વહીવટી ટ્રેડ જેવાકે, હિસાબી શાખા, આંકડા શાખા, ઇ.ડી.પી. શાખામાં પણ તાલીમ આપી શકાય તેમ હોઇ, રાજ્ય સરકાર દ્વારા નિગમને મહેકમના ૧૦% પ્રમાણે જુદા-જુદા ટ્રેડમાં તાલીમાર્થી એપ્રેન્ટિસની ભરતી માટે મંજુરી આપવામાં આવે છે. આ સંદર્ભે નજીકના સમયમાં શક્યતઃ આઇ.ટી.આઇ. પાસેથી તાલીમાર્થીઓની યાદી મંગાવી નિયમોનુસારની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જુદી-જુદી લોકલ આઇ.ટી.આઇ.ના સંપર્કમાં રહી નામો મેળવી નિગમના જુદા-જુદા વિભાગો ખાતે વર્ષમાં બે વખત એપ્રિલ અને ઓક્ટોબર માસમાં તાલીમાર્થી એપ્રેન્ટિસોની પસંદગી કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન-વ્યવહાર નિગમના જુદા-જુદા વિભાગો ખાતે ૧૬ વિભાગીય વર્કશોપ તેમજ ૧૨૫ ડેપોના માધ્યમથી આશરે ૭,૦૦૦ હજાર જેટલી બસો અને ૪૦ હજાર જેટલા કર્મચારીઓના માધ્યમથી સંચાલન કરવામાં આવી રહ્યું છે, તેમ એસ.ટી. નિગમ અમદાવાદની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Share This Article