Toll Tax Price Hike: 1 એપ્રિલથી ગુજરાતના આ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં થશે વધારો

Rudra
By Rudra 2 Min Read

માર્ચ મહિનો પૂર્ણ થવા નજીક છે અને 1 એપ્રિલથી દેશમાં અનેક નીતિગત ફેરફારો અમલમાં આવવાના છે. આ વચ્ચે ટોલ ટેક્સ વધારાને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકા નજીક આવેલા ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલ દરોમાં વધારો કરવામાં આવ્યો છે.

આ વધારો 1 એપ્રિલથી અમલમાં આવશે. ખાસ વાત એ છે કે કાર અને જીપ માટેના ટોલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ અન્ય વાહનચાલકોને હવે વધુ ટોલ ચૂકવવો પડશે. મુંબઈ-દિલ્હી માર્ગ પર આવેલા નેશનલ હાઈવે નંબર 48 પર સ્થિત આ ટોલ પ્લાઝા વડોદરા અને ભરૂચ જિલ્લાઓને જોડે છે. ટોલ દરોમાં વધારો કરવાની જાહેરાત National Highways Authority of India દ્વારા કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ નવા દર મુજબ મિનિ બસ અને લાઈટ કોમર્શિયલ વાહનો માટે ટોલ ₹250 થી વધારી ₹255 કરવામાં આવ્યો છે. ટ્રક અને બસ માટે ₹520 થી વધારી ₹530, ત્રણ એક્સલ વાહન માટે ₹565 થી વધારી ₹580 અને 4 થી 6 એક્સલ વાહન માટે ₹815 થી વધારી ₹835 કરવામાં આવ્યો છે. જ્યારે કાર અને જીપ માટેનો ટોલ દર ₹155 યથાવત્ રાખવામાં આવ્યો છે.

ભરથાણા ટોલ પ્લાઝા દેશના સૌથી વધુ આવક આપતા ટોલ પ્લાઝામાંથી એક ગણાય છે. મુંબઈ-દિલ્હી હાઈવે પર હોવાને કારણે અહીં વાહનોની અવરજવર મોટી સંખ્યામાં થાય છે. Ministry of Road Transport and Highways દ્વારા રાજ્યસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં રાષ્ટ્રીય રાજમાર્ગો અને એક્સપ્રેસ હાઈવે પર કુલ ટોલ વસૂલાત અંદાજે ₹2.27 લાખ કરોડ સુધી પહોંચી છે.

આંકડા મુજબ વર્ષ 2024-25 દરમિયાન ભરથાણા ટોલ પ્લાઝા પર ₹472.50 કરોડનું ટોલ કલેક્શન થયું હતું, જ્યારે 2023-24માં આ આંકડો ₹472.65 કરોડ રહ્યો હતો. આથી સ્પષ્ટ થાય છે કે ભરથાણા ટોલ પ્લાઝા સતત ઊંચી આવક ધરાવતો ટોલ પ્લાઝા છે.

 

Share This Article