આજે દેશ બિલકુલ સુરક્ષિત હાથમાં : મોદીએ દાવો કર્યો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ચુરુ : પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદી સંગઠન જૈશના અડ્ડાઓ ઉપર હવાઈ હુમલા કરવામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક અલગ અંદાજમાં હવાઈ હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. પુલવામા ત્રાસવાદી હુમલામાં શહીદ ૪૦ જવાનોના ફોટાવાળા મંચ ઉપરથી મોદીએ કહ્યું હતું કે, આજે લોકોનો મિજાજ અલગ દેખાઈ રહ્યો છે. લોકોના ઉત્સાહને તેઓ સમજી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, આજ એવો પ્રસંગ છે જ્યારે દેશના પરાક્રમવીરોને નમન કરવાનો સમય છે.

મોદીએ કહ્યું હતું કે, તેઓ દેશના માથાને ક્યારે પણ ઝુંકવા દેશે નહીં. દેશ આજે બિલકુલ સુરક્ષિત હાથમાં છે. ચુરુની ધરતીથી લોકોને વિશ્વાસ અપાવતા મોદીએ કહ્યું હતું કે, દેશ બિલકુલ સુરક્ષિત હાથોમાં છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, દેશથી ઉપર કોઇ ચીજ નથી. દેશની સેવા કરનાર અને દેશના નિર્માણમાં લાગેલા દરેક વ્યક્તિને તેઓ નમન કરે છે. ચુરુ, શિકરના હજારો જવાનો રાષ્ટ્રની સુરક્ષામાં લાગેલા છે. મોદીએ રેલી દરમિયાન ૨૦૧૪ની ચૂંટણી પ્રચાર દરમિયાન આવેલી કવિતા પણ વાંચી હતી જેમાં મોદીએ એ વખતે કહ્યું હતું કે, મે દેશ નહીં ઝુંકને દુંગા.

મોદીએ રેલીને સંબોધતા કહ્યું હતું કે, સોગંદ મુઝે ઇસ મિટ્ટી કી કી મેં દેશ નહીં ઝુંકને દુંગા, સોગંદ મુઝે ઇસ મિટ્ટી કી મેં દેશ નહીં મિટને દુંગા, દેશ નહીં રુકને દુંગા. મોદીના અસરકારક સંબોધનથી ઉપસ્થિત લોકોમાં નવો જુસ્સો ઉમેરાઈ ગયો હતો. મોદીએ આ સંબોધન દરમિયાન પોતાની સરકારની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો જેમાં પીએમ કિસાન સન્માન નિધિનો પણ ઉલ્લેખ કર્યો હતો જેના ભાગરુપે લાખો ખેડૂતોના ખાતામાં સીધીરીતે પૈસા પહોંચી રહ્યા છે. ચુરુમાં સંબોધન વેળા મોદી મોદીના નારા પણ લાગ્યા હતા.

Share This Article