સત્તા મેળવવાના પ્રયાસથી ભાજપની પ્રતિષ્ઠાને ફટકો

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

અજિત પવારે ભાજપને સત્તા માટે પુરતી સંખ્યા ઉપલબ્ધ કરાવી દેવાની ખાતરી આપ્યા બાદ ભાજપે તેમની વાતમાં આંખ બંધ કરીને વિશ્વાસ કરી લીધો હતો. અહીં પાર્ટીની પ્રતિષ્ઠાને આના કારણે જોરદાર ફટકો પડ્યો હતો. અગાઉ કર્ણાટકમાં પણ પુરતા આંકડા ન હોવા છતાં ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી લેવાના પ્રયાસ કર્યા હતા. જેથી તેની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો હતો. હવે મહારાષ્ટ્રમાં પણ તેની આવી જ સ્થિતિ  થઇ છે. વર્ષ ૨૦૧૮માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ પાર્ટી મહારાષ્ટ્રની જેમ જ સૌથી મોટી પાર્ટી બની હતી.

જો કે તેમની પાસે પુરતા સભ્યો ન હતા. તેની પાસે બહુમતિ કરતા સાત સભ્યો ઓછા રહ્યા હતા. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ હરિફ પાર્ટીના સભ્યોને પોતાની તરફ લાવવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીને આશા હતી કે સાત સભ્યો તેને મળી જશે. આ આશા વચ્ચે યેદીયુરપ્પાએ મુખ્યપ્રધાન તરીકે શપથ લઇ લીધા હતા. જો કે પુરતા સભ્યો ન હોવાના કારણે કલાકોના ગાળામાં જ તેમને રાજીનામુ આપી દેવાની ફરજ પડી હતી. બંને મામલા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. આખરે પાર્ટીને પછડાટ હાથ લાગી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મુખ્યપ્રધાનને કર્ણાટકમાં પણ રાજીનામુ આપી દેવાની ફરજ પડી હતી.

ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા માટે ખુબ આશાવાદી દેખાઇ રહી હતી. અજિત પવારે નાયબ મુખ્યપ્રધાન પદેથી રાજીનામુ આપ દેવા માટે અંગત કારણો આપ્યા છે. અજિતે શરતી રીતે ટેકો આપી દેવાની જાહેરાત કરી હતી. અત્રે નોંધનીય છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે શપથ લીધાના માત્ર ત્રણ દિવસ બાદ જ હોદ્દાથી ગઇકાલે મંગળવારના દિવસે રાજીનામુ આપી દીધું હતું. તે પહેલા જોરદાર રાજકીય ઘટનાક્રમના દોર વચ્ચે ત્રણેય પક્ષોએ શક્તિ પ્રદર્શન કરીને ૧૬૨ ધારાસભ્યોની પરેડ કરાવી હતી. શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેની સાથે પત્રકાર પરિષદ યોજીને શરદ પવારે પોતાની પાસે બહુમતિ હોવાનો દાવો કર્યો હતો. શનિવારના દિવસે શરદ પવારે એવા એક ડઝન ધારાસભ્યોમાંથી અડધા ધારાસભ્યોને પરત પોતાની ટીમમાં બોલાવી લીધા હતા. શિવસેના, કોંગ્રેસ અને એનસીપી દ્વારા મુંબઈમાં ૧૬૨ ધારાસભ્યોની પરેડ કરાવવામાં આવી હતી. અજીત પવારને બાદ કરતા તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે દેવેન્દ્ર ફડનવીસ અને અજીત પવાર સરકાર બનાવી રહ્યા હતા ત્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતા અનેક પ્રકારની સમસ્યા ઉભી થઇ ગઇ હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી તેમની તકલીફ વધી ગઈ હતી. કારણ કે, સુપ્રીમ કોર્ટે બુધવારના દિવસે ફ્લોર ટેસ્ટ કરવા માટેના આદેશ કર્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશના થોડાક સમય બાદ જ અજીત પવારે નાયબ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધું હતું.

Share This Article