વડોદરા પોલીટેકનિકમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે મારામારી  

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

વડોદરા એમ. એસ. યુનિવર્સિટીની પોલીટેકનિકના વિદ્યાર્થીઓ વચ્ચે આજે સતત બીજા દિવસે જૂથ અથડામણ થઈ હતી. આજે થયેલી મારામારીમાં પોલીટેકનિકના જીએસ સહિત બે વિદ્યાર્થીઓને ઈજા થતા તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

પોલીટેકનિકમાં વિદ્યાર્થીઓનુ એક જૂથ એનએસયુઆઈ સાથે અને અન્ય એક જૂથ વિદ્યાર્થી વિકાસ સંઘ સાથે સંકળાયેલુ છે. બંને ગ્રુપ વચ્ચે દુશ્મનાવટ ચાલી રહી છે. મંગળવારે એનએસયુઆઈમાંથી ચૂંટાયેલા પોલીટેકનિકના જીએસ અમર વાઘેલા અને તેના જૂથના સીઆર સાથે વીવીએસના વિદ્યાર્થીઓને બોલાચાલી અને બાદમાં મારામારી થઈ હતી. આ મારામારીના વિરોધમાં આજે એનએસયુઆઈના વિદ્યાર્થીઓ પોલીટેકનિકના પ્રિન્સિપાલને રજૂઆત કરવા માટે ગયા હતા. ત્યાંથી તેઓ વાઈસ ચાન્સેલરને રજૂઆત કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીટેકનિકના આરટી હોલ પાસે વીવીએસના વિદ્યાર્થીઓ સાથે બોલાચાલી થઈ હતી અને જોત જોતામાં ફરી એક વખત બંને ગ્રુપના વિદ્યાર્થીઓ મારામારી પર ઉતરી આવ્યા હતા.

આ મારામારીમાં ઈજા પામેલા પોલીટેકનિકના જીએસ અમર વાઘેલા તેમજ વીવીએસના કુંજલ અકબરીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મારામારીની જાણ થતા વિજિલન્સ અને પોલીસ કાફલો કેમ્પસમાં ધસી આવ્યો હતો. દરમિયાન પોલીટેકનિક સત્તાધીશોએ આ મારામારીમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવા માટે કમિટી બનાવી છે.

Share This Article