અમદાવાદ : થોડા દિવસો અગાઉ અમદાવાદના હાથીજણ વિસ્તારમાં એક માસૂમ બાળકી પર એક પાલતું રોટવિલર ડોગ દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બાળકીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાનાં હચમચાવે એવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ ઘટનામાં શ્વાન માલિક સામે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનામાં વધુ એક મોટા સમાચાર આવ્યા છે. બાળકી પર હુમલો કરનારા ‘રોકી‘ નામનાં રોટવિલર ડોગનું વેટરનિટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે.
હાથીજણમાં શ્વાને બાળકી પર કરેલા હુમલાના પડઘા તે સમયે રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં પડ્યા હતાં. સરકારના મંત્રીઓની બેઠકમાં હવે કોઈપણ સોસાયટીમાં આવા હિંસક પ્રાણીઓ નહીં રાખવા અંગે ચર્ચાઓ કરાઈ હતી. બીજી વાર રાજયમાં કોઈપણ જગ્યાએ આ પ્રકારની ઘટના ના બને તે અંગે પણ તકેદારી રાખવા સરકાર દ્વારા અધિકારીઓને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મહાનગર પાલિકાએ હવે ડોગનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દીધું છે અને જે લોકો રજિસ્ટ્રેશન નહીં કરાવે તેમની સામે આકરી કાર્યવાહી કરવાની તૈયારીઓ પણ શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
હાથીજણ વિસ્તારમાં આવેલી રાધે રેસિડન્સીમાં થોડા દિવસ પહેલા ૪ મહિનાની માસૂમ બાળકી પર પાલતું રોટવિલર ડોગે અચાનક હુમલો કર્યો હતો, જેમાં બાળકીનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ડોગનાં માલિક સામે ગુનો નોંધાયો હતો, જ્યારે ૧૩ મેનાં રોજ ડોગને કબ્જે કરવામાં આવ્યો હતો. શ્વાન માલિક દ્વારા પાલતું ડોગનું રજિસ્ટ્રેશન ન કરાવતા કાર્યવાહી કરી શ્વાનને કબજે કરાયો હતો.
આ બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રોટવિલર ડોગને બ્લડ પ્રોટોઝુઆની બીમારી હતી. આથી, શ્વાનને સારવાર અર્થે વેટરનિટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાનરોટવિલર ડોગનું નિધન થયું હોવાનાં સમાચાર આવ્યા છે. જણાવી દઈએ કે, શ્વાન માલિક દિલીપ પટેલ સામે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.