અંજલિથી ભઠ્ઠા તરફનો રસ્તો ભારે વાહન માટે હવે બંધ થશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાલડીથી સરખેજ જતા મુખ્ય રસ્તા પર સતત વધતા ટ્રાફિકના પ્રશ્નને હળવો કરવા વાસણાના અંજલી ચાર રસ્તાથી પાલડીના મહાસતીજીચોક સુધી ૧ર૩પ મીટર લંબાઇના ફલાય ઓવરબ્રિજનું નિર્માણકાર્ય હાથ ધરાયું છે.

આ નિર્માણકાર્યના લીધે અંજલિ ચાર રસ્તાથી પાલડી ભઠ્ઠા તરફનો ડાબી બાજુનો રસ્તો ભારે વાહનો માટે તા.૧ લી ફેબ્રુઆરીથી બંધ કરવામાં આવશે. આ ફલાય ઓવરબ્રિજ શહેરનો સૌથી લાંબો ફલાય ઓવરબ્રિજ બનનાર હોઇ તંત્ર દ્વારા મસ્જિદ પાસે ઓબલીગેટરી સ્પાનના સુપર સ્ટ્રક્ચર બનાવવાની કામગીરી હાથ ધરાશે, જેના કારણે અંજલી ચાર રસ્તાથી ભઠ્ઠા ચાર રસ્તા તરફ જતો ડાબી બાજુનો રસ્તો આગામી તા.૧ ફેબ્રુઆરીથી છ મહિના માટે ભારે વાહનો માટે બંધ કરાશે.

મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જાહેર નોટિસ દ્વારા આગામી તા.૧ ફેબ્રુઆરીથી તા.૩૧ જુલાઇ, ર૦૧૯ સુધીના સમયગાળા માટે આ રસ્તો બંધ રહેવાથી ભારે વાહનોએ અવરજવર માટે અંજલી ચાર રસ્તાથી બીઆરટીએસ થઇ વડવાલા ઓટોની દુકાનથી લખડિયા હોસ્પિટલથી ભઠ્ઠા ચાર રસ્તા અથવા તો મહાલક્ષ્મી ચાર રસ્તા તરફના રસ્તાનો અને અંજલી ચાર રસ્તાથી ડાબી બાજુ બીઆરટીએસ થઇ ધરણીધરથી ભઠ્ઠા ચાર રસ્તા અથવા તો મહાલક્ષ્મી ચાર રસ્તા તરફ જવાની નાગરિકોને સૂચના આપી છે. છ મહિના માટે આ રસ્તો બંધ થવાની વાહનચાલકોને ખાસ કરીને ભારે વાહનોને થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે પરંતુ ફલાયઓવર બની ગયા બાદ તેની સુવિધા પણ વાહનચાલકો અને નગરજનોને એટલી જ રાહત આપશે.

Share This Article