હિન્દુ ધર્મમાં ગુરુપૂર્ણિમાનું મહત્વ
હિન્દુ ધર્મમાં ગુરુપૂર્ણિમાને એક મહાન પર્વ તરીકે મનાવવામાં આવે છે. જેને વ્યાસપૂર્ણિમા પણ કહેવાય છે. ભારતીય સંસ્કૃતિ ગુરુ શિષ્યના નિર્મળ અને ઉદાત્ત સંબંધનો જય જયકાર કરતી સંસ્કૃતિ છે. જેમણે આધ્યાત્મિક ઉત્કર્ષ માટે સાધના કરી હોય તે આ આધ્યાત્મિક ગુરુ અને કેળવણી માટે સંકલ્પબધ્ધ હોય તે વિદ્યાગુરુ કહેવાય છે. ‘ગુ’ નો અર્થ થાય છે અંધકાર અને ‘રુ’ નો અર્થ થાય છે પ્રકાશ. અંધકારને દૂર કરી પ્રકાશપંથ દેખાડે એ ગુરુ.
શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય જીવનપ્રાણ સ્વામીબાપાએ આપણને સમજાવ્યું છે કે ગુરુ કોને કહેવાય? તો गृणाति उपदिशति धर्मम स: गुरु: ! શિષ્યને સત્ય ધર્મનો ઉપદેશ આપી તેના જીવનમાં તે ચરિતાર્થ કરાવે તે ગુરુ કહેવાય. गिरति शिष्यकृतान अपराधान स: गुरु: ! ક્ષણ – ક્ષણ પ્રત્યે શિષ્યથી થતા જે અપરાધ તેને ન ગણી શિષ્ય પ્રત્યે વાત્સલ્યભાવ રાખી તેને પોતાની ગોદમાં ઉઠાવી લે તેને ગુરુ કહેવાય.
મુમુક્ષુએ આવાં લક્ષણો ઓળખીને ગુરુ કરવા જોઈએ. બાકી ધન હરે પણ ધોખો ન હરે તેવા ગુરુથી કોઈ પ્રાપ્તિ થતી નથી.
મનુષ્યને જીવનમાં ગુરુની અવશ્ય જરૂર છે. સાચા ગુરુ મળે તો આલોક અને પરલોકમાં સદાય હિત થાય છે. એ માટે કવિ કાલિદાસનો પ્રસંગ જોઈએ.
એક બ્રાહ્મણને કન્યાદાન આપવું હતું તેથી તે રાજા ભોજ પાસે દાન લેવા ગયો પણ દ્વારપાળો તેને ધક્કા મારી દરવાજેથી પાછો કાઢતા હતા અને કોઈ રીતે રાજાનો મેળાપ થવા દેતા ન હતા. તેવામાં તેને કવિ કાલીદાસ મળી ગયા. કવિ કાલીદાસે પૂછતાછ કરી બધી વિગત જાણી, તે વિપ્રને યુક્તિ શીખવી કે સવારમાં રાજાની રાણી અહીંથી દેવનાં દર્શન કરવા જાય છે તે વખતે હું કહું તે સાખી તારે દૂર ઉભા રહી બોલવી અને કદાચ તેનો ઉત્તર કરવાનું કોઈ કહે તો તારે કહેવું જે તેનો ઉત્તર તો કવિ કાલિદાસ જાણે. જા, તને જરૂર રાજાનો મેળાપ થશે.
પછી બીજા દિવસે સવારે નિયમ પ્રમાણે રાજાની રાણી દેવનાં દર્શન કરવાને માટે નીકળી. આગળ પાછળ દાસીઓ ચાલતી હતી અને વચ્ચે રાણી ચાલી જતી હતી, તે જોઈ પેલા વિપ્રે કવિ કાલિદાસે શિખવાડેલી સાખી લલકારી.
‘આગલી છોડો પીછલી છોડો, બીચલી પકડો સારી;
તેને પકડી હરિરસ ચખાડો, તો પદવી મળશે ભારી.’
આ સાખી રાજાની રાણીએ સાંભળી. એક દિવસ થયો. બીજો દિવસ થયો. આમ દરરોજ તે જ પ્રમાણે થવા લાગ્યું. પછી તો રાણીએ રાજાને કહ્યું જે, કોઈ એક બ્રાહ્મણ મારી મશ્કરી કરે છે. રાજાએ તપાસ કરાવી ને સૈનિક દ્વારા તે વિપ્રને પકડીને પોતાની પાસે રાજસભામાં હાજર કરાવ્યો અને તેને સાખીનો અર્થ કરવા કહ્યું ત્યારે તે વિપ્રે કહ્યું જે હે રાજન ! એ તો કવિ કાલિદાસ જાણે. એટલામાં કવિ કાલિદાસ રાજસભામાં આવ્યા. રાજા ભોજે તેમને પૂછયુ તો તેમણે કહ્યું જે રાજન્ આ ભૂદેવ કોઈની મશ્કરી કરતા નથી. એ તો સર્વેને ઉપદેશ આપતાં કહે છે જે આ જિંદગીની ત્રણ અવસ્થાઓ છે. તેમાં આગલી જે બાલ્યાવસ્થા તે રમત – ગમતમાં અને અણસમજણમાં જાય છે તેથી તે અવસ્થા ભગવાન ભજવાને માટે કામ આવતી નથી અને પીછલી જે વૃદ્ધાવસ્થા છે તેમાં પણ અંગ બધાં શિથિલ થઈ જાય છે, તેથી તે અવસ્થા પણ ભગવાન ભજવાને માટે કામ આવતી નથી. માત્ર બીચલી જે યુવાવસ્થા છે તેમાં જે કરો તે થાય તેમ છે માટે તે અવસ્થાને ભગવાનના ભજનમાં લગાડો. યુવાવસ્થામાં ભગવાનનું ભજન કરશો તો પદવી મળશે ભારી એટલે ભગવાનનો ભેટો થશે અને મોક્ષને પામશો. આમાં શું ખોટું કહે છે ?
રાજા આ વાત સાંભળીને પ્રસન્ન થયા એટલે વિપ્રને દાન આપી મુક્ત કર્યો.
આમ, બ્રાહ્મણને કવિ કાલિદાસ રૂપી ગુરુ મળ્યા તો જે કન્યાદાન કરવાનું હતું તે પ્રસંગ રાજાના દાનમાંથી ઉકલી ગયો. તેમ ગુરુ મળે તો સર્વે કાર્ય સિધ્ધ થાય છે. ગુરુ કરવા તે આપણા હિંદુ સંસ્કૃતિની પ્રણાલિકા છે. ઉપનિષદોમાં કહ્યું છે કે,
तद विज्ञानार्थ स गुरुमेवाभिगच्छेत | समित्पाणि: क्षौत्रियं ब्रह्मनिष्ठम ||
મેધાવી હોય, શાસ્ત્રને જાણકાર પણ હોય છતાં આ પરમાત્માને જાણવા માટે ગુરુ પાસે જવું જોઈએ. ખુદ શ્રી સ્વામિનારાયણ ભગવાન એ ભગવાન હોવા છતાં પણ તેમણે રામાનંદ સ્વામીને ગુરુ કર્યા અને એમની પાસે દીક્ષા લીધી. શા માટે ? બીજાને શીખવવા માટે…. આમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને સમગ હિન્દુ ધર્મમાં સવિષેશ ગુરુનું મહાત્મ્ય છે. પરંતુ તે ગુરુ સાચા હોય તે પણ એટલું જ સાથો – સાથ મહત્વનું છે. ગુરુ જો ખોટા મળી જાય તો કોઈ જ પ્રાપ્તિ થતી નથી અને ઉપરથી જીવની અધોગતિ થાય છે માટે સાચા ગુરુનાં લક્ષણોથી યુકત હોય તેને જ ગુરુ કરવા જોઈએે. અને સાચા ગુરુ મળે તો જ આપણો મનુષ્ય જન્મ સાર્થક થાય. માટે જ આવું ગુરુપૂર્ણિમાનું પર્વ વર્ષમાં એક વખત જયારે આવતું હોય ત્યારે તો અવશ્ય ગુરુનું પૂજન આપણે કરવું જ જોઈએ. અને તેમના કરેલા ઉપકારોને આપણે યાદ કરવા જોઈએ અને તેમના ઋણમાંથી મુકત થવાના યત્કિંચિત્ પ્રયત્નો કરવા જ જોઈએ. અને તેમની ઈચ્છા મુજબનું આપણે જીવન જીવવું જોઈએ. તો જ આપણે ખરા અર્થમાં ગુરુપૂર્ણિમા ઉજવી કહેવાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં હજારો અને લાખોની સંખ્યામાં સંતો-ભક્તો હતા. પરંતુ ભગવાને સર્વના ઉપરી તરીકે તો આજ્ઞાની અને ઐશ્વર્યની મૂર્તિ એવા સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીને જ સર્વના ઉપરી તરીકે સ્થાપ્યા અને તેમને ધર્મધુરા સોંપી હતી અને જીવનપર્યંત અથાગ પરિશ્રમ કરીને તેમણે સંપ્રદાયની આન, બાન અને શાન વધારી. પછી તે પોતાનો વારસો તેમણે સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીને સોંપ્યો અને તેમણે નીડર સિદ્ધાંતવાદી અને વચનામૃતના આચાર્યનું બિરુદ પામેલ સદ્. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીને કારણ સત્સંગની સોંપણી કરી અને તે કારણ સત્સંગનો દેશ અને વિદેશમાં પ્રચાર અને પ્રસારની પહેલ શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ કરી તેના કારણે આજે દેશ અને વિદેશમાં ઠેર-ઠેર સ્વામિનારાયણ સંપ્રદાયની ધજાઓ ફરકે છે. તો આવા સંસ્કાર અને સદાચારનો વારસો આપણને આપનાર શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમણે સ્થાપેલી ગુરુપરંપરાના સદ્ગુરુઓ-સંતોનાં ચરણમાં આપણે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે પૂજન, અર્ચન અને વંદન કરીએ અને તેમણે ચિંધેલા માર્ગે આપણું તન, મન અને ધન સમર્પિત કરીને કૃતાર્થ બનીએ.
हरीकृष्णो गुरु : साक्षात स्वामीनारायणो गुरु : | गुरुर्गोपालस्वामी तू गुरुरनिर्गुणदासजी ॥
अब्जीबापा गुरुर्नाम गुरुरस्वामीश्वरसुधी : | भुक्तजीवनवर्यश्व तस्मै श्रीगुरुवे नम:॥
- શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી