સ્વાસ્થ્ય મંત્રીએ રાહુલ ગાંધીની ભગવાન ‘રામ’ સાથે તુલના કરીને કહી આ વાત…

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

રાજસ્થાનનાં અશોક ગેહલોક સરકારના સ્વાસ્થ્ય મંત્રી પરસાદીલાલ મીણાએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની તુલના ભગવાન રામ સાથે કરી દીધી. સ્વાસ્થ્ય મંત્રી પરસાદીલાલ મીણાએ જણાવ્યું કે ભગવાન શ્રી રામ અયોધ્યાથી પગપાળા શ્રીલંકા ગયા હતા. પરંતુ હાલમાં રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પદયાત્રા કરી રહ્યા છે.આવી સ્થિતિમાં રાહુલ ગાંધી ભગવાન રામ કરતાં વધુ ચાલશે. તેમણે કહ્યું કે ઈતિહાસમાં આજ સુધી કોઈ આટલી લાંબી યાત્રા કરી શક્યું નથી અને ન તો કરશે. મીણાનું આ નિવેદન ચર્ચાનો વિષય છે.

સ્વાસ્થ્ય મંત્રી પરસાદીલાલ મીણાએ સોમવારે દૌસા જિલ્લાના લાલસોટ વિસ્તારના બગડી ગામમાં આ નિવેદન આપ્યું હતું. મીણાએ કહ્યું કે ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી શ્રી રામ કરતાં વધુ પગપાળા યાત્રા કરશે. આજ સુધી આ યાત્રા કોઈએ કરી નથી અને કોઈ કરી શકશે પણ નહીં. તેમણે કહ્યું કે આ એક ઐતિહાસિક યાત્રા છે. દેશને બદલવા માટે રાહુલ ગાંધી દ્વારા યાત્રા કાઢવામાં આવી રહી છે.

સ્વાસ્થ્ય મંત્રી પરસાદી લાલ મીણાએ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે થઈ રહેલી ચૂંટણી પર કહ્યું કે ૨૨ વર્ષ બાદ પાર્ટીમાં લોકતાંત્રિક રીતે ચૂંટણી થઈ રહી છે. આવી સ્થિતિમાં સારા પરિણામો આવશે અને કોંગ્રેસ મજબૂત થશે. ઉલ્લેખનીય છે કે સ્વાસ્થ્ય મંત્રી પરસાદીલાલ મીણા લાલસોટથી ધારાસભ્ય છે. તેઓ ભૂતકાળમાં ઘણી વખત પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહ્યા છે. સોમવારે જ્યારે તેમણે રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરી તો તેઓ ફરી ચર્ચામાં આવ્યા. સ્વાસ્થ્ય મંત્રી  પરસાદીલાલ મીણાનો એક વીડિયો ભૂતકાળમાં વાયરલ થયો હતો. તેમાં તેમના પર મેમોરેન્ડમ આપવા આવેલા લોકો સાથે કથિત રીતે દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

સ્વાસ્થ્ય મંત્રી પરસાદીલાલ મીણા અશોક ગેહલોત કેમ્પના મંત્રી છે અને તેમના નજીકના ગણાય છે. મીના પાસે આરોગ્ય વિભાગ ઉપરાંત એક્સાઇઝ વિભાગની જવાબદારી પણ છે. સ્વાસ્થ્ય મંત્રી પરસાદીલાલ લાલસોટથી છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. રાજસ્થાનમાં તાજેતરના રાજકીય વાવાઝોડા દરમિયાન પણ સ્વાસ્થ્ય મંત્રી પરસાદીલાલ મીણાએ ગેહલોતની તરફેણમાં અનેક નિવેદનો આપ્યા હતા.

Share This Article