આતંકવાદી સામે કાર્યવાહી કરવાની લોકોની માંગ તીવ્ર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફ કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ લોકોમાં આક્રોશ આજે સતત છઠ્ઠા દિવસે અકબંધ રહ્યો હતો.  પાકિસ્તાની ત્રાસવાદીઓ અને હુમલા માટે જવાબદાર લોકો સામે નિર્ણાયક પગલા લેવાની માંગ લોકો જાહેર રસ્તા પર ઉતરીને કરી રહ્યા છે. પુલવામા હુમલા માટેનુ કાવતરુ ઘડનાર અને આત્મઘાતી બોમ્બરને ટ્રેનિંગ આપનાર ગાજીને મોતને ઘાટ ઉતારી દેવા સિવાય શ્રેણીબદ્ધ પગલા પાકિસ્તાન સામે રાજદ્ધારી સ્તર પર લેવામાં આવી ચુક્યા હોવા છતાં લોકો સંતુષ્ટ દેખાતા નથી. વધુ કાર્યવાહી માટેની માંગ પર લોકો ઉત્સુક છે.

લોકો એકબાજુ શહીદ જવાનોને જુદી જુદી રીતે શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમ યોજતા નજરે પડી રહ્યા છે  બીજી બાજુ પાકિસ્તાન અને પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓને બોધપાઠ ભણાવવાની માંગ સાથે દેખાવો પણ કરવામાં આવી રહ્યા છે.  લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. દેશભરમાં લોકો જાહેર માર્ગ પર ઉતરી ગયા છે. તેમન એક જ માંગ છે કે ત્રાસવાદીઓએ સામે કાર્યવાહી કરવામાં આવે અને તેમનો સફાયો કરવામાં આવે. ખુનનો બદલો ખુનથી લેવાની માંગ થઇ રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં  સરકાર પર દબાણ વધારવામાં આવી રહ્યુ છે.દેશમાં વિરોધ પ્રદર્શન કરવા માટે તમામ સંગઠનના લોકો, રાજકીય પક્ષોના લોકો પણ જોડાયા છે.  લોકો દ્વારા પાકિસ્તાન સામે નારાજગી વ્યક્ત કરીને  જોરદાર સૂત્રોચ્ચા કરવામાં આવી રહ્યા છે.  પાકિસ્તાન અને આંતકવાદીઓ સામે ફિટકાર સહિતના અનેક જલદ અને વિરોધદર્શક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.  પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ અને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાનખાનના પૂતળાદહનના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. દેશની જનતામાં ઉગ્ર આક્રોશ ભભૂકયો છે ત્યારે સરકારે હવે પાકિસ્તાનને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપવો જાઇએ એ હવે દેશના લોકોની લાગણી છે.  પાકિસ્તાનને તેના ઘરમાં ઘૂસીને પાઠ ભણાવવાની ઘડી હવે આવી ગઇ છે.

Share This Article