એસ.ટી.નિગમના ૧૦,૦૦૦ જેટલા કર્મચારીઓ સામેના ડિફોલ્ટ કેસોનો નિકાલ કરાશે

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ૧૦,૦૦૦ જેટલા વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓ પ્રતિ માનવીય અભિગમ દાખવીને તેમની સામેના અતિ ગંભીર ન હોય તેવા વિવિધ ગુન્હાઓ અને કેસોમાં ૧૫મી માર્ચે જાહેર કાર્યક્રમોમાં ઓપન હાઉસમાં સમીક્ષા કરી, જરૂર પડે હળવી શિક્ષા કરીને ઝુંબેશની જેમ કેસોનો નિકાલ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.

એસ.ટી. ગુજરાત રાજ્ય  માર્ગ વાહન વ્યવહાર નિગમના સચિવે જણાવ્યું છે કે, નિગમના ૧૬ વિભાગો અને ૧૨૫ ડેપોમાં ફિલ્ડમાં ફરજ બજાવતા જૂદા-જૂદા સંવર્ગના વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓ સામે અતિ ગંભીર ન હોય તેવા વિવિધ ગુન્હાઓ અને કારણોસર ખાતાકીય કાર્યવાહી ચાલતી હોય છે. આવા કર્મચારીઓ સામે ડિફોલ્ટ કેસો અને ડિફોલ્ટ રિપોર્ટસ  થયેલા હોય છે. આવા કર્મચારીઓ માનસિક તાણ અનુભવતા હોય છે, જેને કારણે તેમની ફરજની કામગીરી પર પણ અસર થાય છે. આવા ૧૦,૦૦૦ જેટલા કર્મચારીઓ પર સરકાર સકારાત્મક અસર ઉભી થાય તેમજ ભવિષ્યમાં આવા ગુન્હાનું પુનરાવર્તન ન થાય, કર્મચારીઓ સજાગ થાય અને તેમને સુધરવાની તક મળે સાથોસાથ નિગમ સામેના કોર્ટ કેસોના પ્રશ્નો પણ નિવારી શકાય એવા શુભ આશયથી નિગમના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત માનવીય અભિગમ દાખવીને આવા કેસોની સમીક્ષા કરાશે. જરૂર પડે હળવી શિક્ષા કરીને ઝુંબેશની જેમ કેસોનો નિકાલ કરાશે.

૧૫મી માર્ચે સમગ્ર રાજ્યમાં ૧૬ વિભાગો અને ૧૨૫ ડેપો ખાતે નિગમના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પારદર્શિતાથી ઓપન હાઉસ માધ્યમથી જાહેર કાર્યક્રમ કરીને ડિફોલ્ટ કેસોના નિકાલની ઝુંબેશ પ્રક્રિયા હાથ ધરાશે. એસ.ટી.ના કર્મચારીઓ અને સંગઠનોએ પણ આ ઐતિહાસિક નિર્ણયને આવકાર્યો છે.

 

Share This Article