સંસદ સત્ર દરમિયાન દર શુક્રવારે નમાઝ માટે મળતો બ્રેક હવે રાજ્યસભામાં નહિ મળે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી : રાજ્યસભામાંથી એક મોટાં સમાચાર સામે આવ્યા છે. સંસદ સત્ર દરમિયાન દર શુક્રવારે નમાઝ માટે મળતો અડધો કલાકનો બ્રેક રાજ્યસભામાં ખતમ કરવામાં આવ્યો છે. આ બદલાવ રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કર્યો છે. સાથે જ તેને લગતા નિયમોમાં પણ ફેરફાર કરવાનો નિર્દેશ આપ્યો છે. હાલમાં, રાજ્યસભામાં લંચ બ્રેક દર શુક્રવારે બપોરે ૧ઃ૦૦ થી ૨ઃ૩૦ વાગ્યા સુધી હોય છે, જ્યારે લોકસભામાં લંચ બ્રેક બપોરે ૧ઃ૦૦ થી ૨ઃ૦૦ વાગ્યા સુધી હોય છે. રાજ્યસભામાં આ વધારાનો અડધો કલાક નમાઝ માટે આપવામાં આવ્યો હતો, જેને હવે અધ્યક્ષે નિયમોમાં ફેરફાર કરીને ખતમ કરી દીધો છે.. આ મામલો ૮મી ડિસેમ્બર એટલે કે શુક્રવારનો છે. રાજ્યસભામાં શુક્રવારે લંચ પછી, જ્યારે ગૃહની બેઠક બપોરે ૨ વાગ્યે ફરી શરૂ થઈ, ત્યારે ડીએમકેના સાંસદ તિરુચી શિવાએ આ મુદ્દો ઉઠાવ્યો, તેમણે કહ્યું કે દર શુક્રવારે ગૃહની બેઠક બપોરે ૨.૩૦ વાગ્યે શરૂ થતી હતી. આ વખતે ૨ વાગ્યે શરૂ કરવામાં આવ્યું છે, તેનો સમય ક્યારે બદલાયો, આ ફેરફાર કેમ થયો તેની સભ્યોને ખબર નથી. તેના પર અધ્યક્ષે જવાબ આપ્યો કે આ ફેરફાર આજથી નથી, આ ફેરફાર તેઓ પહેલા જ કરી ચુક્યા છે, તેમણે આનું કારણ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે લોકસભાની કામગીરી ૨ વાગ્યાથી શરૂ થાય છે, બંને લોકસભા અને રાજ્યસભા સંસદનો હિસ્સો છે, કામકાજના સમયમાં સમાનતા હોવી જાેઈએ, તેથી તેઓએ આ અંગે પહેલાથી જ નિયમો બનાવ્યા હતા.

Share This Article