અકસ્માત પછીના ‘ગોલ્ડન અવર’ દરમિયાન ઝડપી અને ઉચ્ચ સ્તરની ટ્રોમા કેર સુવિધાની ઉપલબ્ધતા દેવદૂત સમાન

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

પ્લુટો સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટરના ડૉ. દિનેશ તિવારી દ્વારા કટોકટીના સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતો પર પ્રકાશ પાડ્યો

હિંમતનગર : શિયાળાની ઋતુ દરમિયાન સ્ટ્રોકના કેસોમાં થતાં નોંધપાત્ર વધારાને અને ઉત્તર ગુજરાતમાં વધતા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને, નેક્સ્ટકેર હોસ્પિટલ પ્રા. લિ.ના એકમ પ્લુટો સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર દ્વારા એક માહિતીપ્રદ સત્રનું આયોજન કરવામાં આવ્યું. આ સત્રમાં ન્યૂરોસર્જન ડૉ. દિનેશ તિવારી, ઓર્થોપેડિક ડૉ. કેવલ પટેલ, વેન્ટિલેટર ડોક્ટર ડૉ. ચારૂદત્ત ગોર અને ન્યુરો ફિઝીશીયન ડૉ. અર્થ શાહ દ્વારા પ્રાસંગિક સત્રના અનુસંધાનમાં દળદાર માહિતી પૂરી પાડવામાં આવી હતી.

 

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા, પ્લુટો સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર (નેક્સ્ટકેર હોસ્પિટલ પ્રા, લિ.ના એકમ)ના કો-ફાઉન્ડર ડૉ. દિનેશ તિવારીએ જણાવ્યું, શિયાળામાં ઠંડીના કારણે રક્તવાહિનીઓ સંકોચાય છે, બ્લડ પ્રેશર વધે છે અને સમયસર સારવાર ન મળવાથી સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. સ્ટ્રોકના પ્રારંભિક લક્ષણોની વહેલી ઓળખ અને તાત્કાલિક સારવારથી મૃત્યુદર તથા કાયમી અપંગતાને ઘટાડવી શક્ય છે.

Tiwari
Dr. Dinesh Tiwari, Neurosurgeon & founder of Pluto Superspeciality Hospital,

ડૉ. તિવારીએ વધુમાં જણાવ્યું કે , “ઉત્તર ગુજરાત ધીમે ધીમે અકસ્માતપ્રવણ ઝોન તરીકે ઉભરી રહ્યું છે, ખાસ કરીને હાઈ-સ્પીડ હાઈવે, વધતા વાહનવ્યવહાર અને ઉત્તરાયણ જેવા તહેવારો દરમિયાન વધતા જોખમો ઉપરાંત ઓવર સ્પીડથી વાહન હંકારવું, ટ્રાફિક શિસ્તનો અભાવ અને વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ માર્ગ અકસ્માતમાં વધારો કરે છે.”

 

અકસ્માત પછીના ‘ગોલ્ડન અવર’ દરમિયાન ઝડપી અને ઉચ્ચ સ્તરની ટ્રોમા કેર સુવિધા ઉપલબ્ધ હોવી અત્યંત જરૂરી છે. તે વાત પર ભાર મૂકતા ડૉ. તિવારી જણાવે છે કે, “ઘણા કિસ્સાઓમાં જીવ બચી શકે છે, પરંતુ યોગ્ય સુવિધા અને સમયસર સારવાર ન મળવાને કારણે જાનહાનિ થાય છે. ઝડપી ટ્રોમા પ્રતિસાદ અને એડવાંસ્ડ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માનવજીવ બચાવવામાં નિર્ણાયક સાબિત થાય છે.”

 

માહિતીપૂર્ણ સત્ર દરમિયાન શિયાળામાં સ્ટ્રોકના વધતા કેસો અને તેના કારણો, સ્ટ્રોકથી બચાવ, પ્રારંભિક ચેતવણીના લક્ષણો અને ઇમરજન્સી પ્રતિસાદ, ટ્રોમા કેર અને ઝડપી તબીબી હસ્તક્ષેપનું મહત્વ, ઉત્તરાયણ (પતંગોત્સવ) દરમિયાન જાહેર સુરક્ષા અને સાવચેતીના પગલાં જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી. ડૉ. દિનેશ તિવારીએ લોકોને અપીલ કરી કે ગંભીર સ્થિતિમાં વિલંબ કર્યા વિના તમામ સુવિધાઓ સજ્જ ટ્રોમા સેન્ટર સુધી પહોંચવું જોઈએ સાથેસાથે નજીકની પરંતુ ઓછી સુવિધાવાળી હોસ્પિટલ પર પણ નિર્ભર ન રહેવું જોઈએ.

 

પ્લુટો સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર ઉત્તર ગુજરાતમાં અદ્યતન ટ્રોમા અને ન્યુરોસર્જરી સેવાઓ સાથે એક મહત્વપૂર્ણ મેડિકલ સેન્ટર તરીકે ઉભરી રહ્યું છે, જેના કારણે હવે ગંભીર દર્દીઓને અમદાવાદ સુધી લઈ જવાની જરૂરિયાત ઘટી છે. આ માહિતીસભર સત્રનો મુખ્ય હેતુ શિયાળામાં વધતા આરોગ્ય જોખમો, અકસ્માત નિવારણ અને સમયસર યોગ્ય સારવાર અંગે જનજાગૃતિ ફેલાવવાનો છે.

Share This Article