અમદાવાદમાં પ્રભુ જગન્નાથની 148મી રથયાત્રાની વિધિનો પ્રારંભ, જળયાત્રાનું આયોજન કરાયું

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ : અમદાવાદ ખાતે આવનારી 27 જૂને અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે જમાલપુર મંદિરથી ભગવાન જગન્નાથજીની પારંપરિક 148મી રથયાત્રા યોજાશે. જાેકે રથયાત્રાની પ્રારંભ વિધિ એટલે કે જળયાત્રા બુધવારે (11 જૂન) યોજવામાં આવી છે. આ વર્ષે જળયાત્રા માટેનું જળ સાબરમતી નદીમાંથી ભરવામાં આવ્યું હતું અને 108 કળશની પૂજા પૂજન વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ ગજવેશ ધારણ કરીને ભક્તોને દર્શન આપ્યા હતા. ભવ્ય આરતી પણ કરવામાં આવી હતી. જળયાત્રા ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓમાં મુખ્ય યાત્રા ગણાય છે. આ જળયાત્રા હાથી, બેન્ડવાજા, ધજા પતાકા, ભજન મંડળી સાથે નીકળી હતી. આ વર્ષની જળયાત્રામાં જળ ભરવાની વિધિ ઐતિહાસિક બની ગઈ છે.

બુધવારે (11 જૂન) જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી, બળદેવજી સરસપુરમાં રણછોડરાયજી મંદિર ખાતેના મોસાળમાં રોકાણ માટે જશે. સરસપુરમાં રણછોડરાયજી મંદિરમાં પણ ભગવાનની આગતા-સ્વાગતા માટે તમામ તૈયારીઓ પૂરી થઈ ચુકી છે અને સ્થાનિકોમાં ભગવાનને આવકારવા થનગનાટ છે. વહેલી સવારે 8 વાગ્યે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતેથી શોભાયાત્રા શરૂ થઈ હતી. આ શોભાયાત્રામાં સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પૂજન કરવામાં આવ્યું હતું.

સવારે 8:30 વાગ્યે ગંગાપૂજન વિધિ કરવામાં આવી હતી. પૂજન બાદ નદીએથી 108 કળશમાં જળ ભરીને મંદિરમાં લાવી ભગવાન જગન્નાથની પૂજન વિધિ કરીને મહાજળાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ ગણેશજીના સ્વરૂપમાં ભગવાન જગન્નાથજીના અતિવિશિષ્ટ ગજવેશ શણગારના પણ કરવામાં આવ્યો હતો. બપોરે 12 વાગ્યે મંદિર પરિસરમાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

Share This Article