અમદાવાદ : ડો.મનીષ બેંકરે જણાવ્યું હતું કે, આજે થેલેસેમિયા જેવી બિમારીને લઇ સમાજમાં હવે જાગૃતતા ઘણી જરૂરી બની ગઇ છે. કારણ કે, ભારતમાં દર વર્ષે દસ હજારથી વધારે બાળકો થેલેસેમિયા સાથે જન્મે છે, જે માટે દંપતિઓમાં જાગૃતિનો અભાવ જવાબદાર હોય છે. થેલેસેમિયા ધરાવતું બાળક થેલેસેમિયા મેજર કહેવાય છે અને એને નિયમિત સમયાંતરે લોહી ચઢાવવાની જરૂર પડે છે. દક્ષિણ ભારતમાં થેલેસેમિયાનાં જનીન માટે વહનદર ૧ ટકાથી ૩ ટકા છે અને ઉત્તર ભારતમાં આ દર ૩ ટકાથી ૧૫ ટકા છે. થેલેસેમિયાનું નિદાન લોહીનાં સરળ પરીક્ષણથી થઈ શકશે, થેલેસેમિયા માઇનોર લોકોને લગ્ન પહેલાં અને ગર્ભાવસ્થા ધારણ કરતાં અગાઉ તેમનાં પાર્ટનરની થેલેસેમિયા અંગેની સ્થિતિ ચકાસવાની જરૂર છે.