અમદાવાદ : ગુજરાતમાં આજે કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળતા મતદાન ઉપર અસર થઇ હતી. શહેરી વિસ્તારમાં પારો ખુબ ઉપર પહોંચ્યો હતો. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં પારો ૪૩થી પણ ઉપર રહ્યો હતો જેથી મતદાન ઉપર તેની અસર સીધી જોવા મળી હતી. હજુ ઉત્તર ગુજરાતમાં પારો બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે. બીજી બાજુ આગામી ૪૮ કલાકમાં મહત્તમ તાપમાનમાં ૩ ડિગ્રી સુધીનો ઉલ્લેખનીય વધારો થઇ શકે છે. કાતિલ ગરમીનો સામનો લોકોને કરવો પડે છે. મહત્તમ તાપમાનમાં ફરી વધારો થતા હાલ સાવચેતી રાખવાની જરૂર દેખાઈ રહી છે. આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની પૂરી શકયતા છે ત્યારે લોકો અત્યારથી જ બળબળતીથી ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયા છે. મહત્તમ તાપમાનમાં ફરી એકવાર વધારો થવાની શરૂઆત થઇ ચુકી છે. હાલમાં હવામાનમાં આવેલા પલટાના કારણે મહત્તમ તાપમાનમાં એકાએક ઘટાડો થયો હતો.
હાલમાં ગરમીથી રાહત પણ મળી હતી. હવામાનમાં આવેલા પલટાના લીધે અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદ અને વાવાઝોડાથી ૧૦થી વધુના મોત થયા હતા. ત્યારબાદથી તાપમાન ઘટી ગયું હતું પરંતુ વહે ફરીવાર ગરમીમાં વધારો થયો છે. વધતી જતી ગરમીને લઇને લોકો હવે સાવચેત થઇ ગયા છે. બપોરના ગાળામાં પંખા અને એસીનો ઉપયોગ ભરપુર થવા લાગી ગયો છે. આજે જુદા જુદા વિસ્તારોમાં પારામાં આંશિક ફેરફાર થયો હતો.
અમદાવાદમાં આવતીકાલે મહત્તમ તાપમાન ૪૩ રહી શકે છે. વધતી જતી ગરમી વચ્ચે બહારની ચીજવસ્તુઓ ટાળવા માટેની સલાહ આપવામાં આવી રહી છે. હવામાન વિભાગના છેલ્લા ત્રણ દિવસના આંકડા અનુસાર, સમગ્ર દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે. હજુ તાપમાનમાં તીવ્ર વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં પારો વધ્યો છે. પ્રવર્તમાન સ્થિતિ અકબંધ રહી શકે છે પરંતુ આગામી ત્રણ દિવસ દરમિયાન પારો વધશે.