સ્વાઈન ફ્લુથી વધુ બેના મોત : ૬૫ નવા કેસ થયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો આતંક યથાવતરીતે જારી રહ્યો છે. આજે પણ વધુ બે લોકોના મોત થતાં મોતનો આંકડો વધીને ૪૩ ઉપર પહોંચી ગયો હતો. નવા વર્ષમાં મોતનો આંકડો રોકેટગતિએ વધતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આજે સારવાર દરમિયાન બનાસકાંઠા અને પોરબંદરમાં એક એક વ્યક્તિનું મોત થયું હતું. હજુ પણ ૩૩૬ લોકો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આજે એક જ દિવસમાં ૬૫ નવા કેસો સપાટી ઉપર આવ્યા હતા. સિઝનલ ફ્લુથી મોતના બનાવો વધતા તંત્રમાં ભાગદોડ મચી ગઈ છે. પ્રદેશમાં સ્વાઈન ફ્લુનો આતંક કાબૂ બહાર થયેલો છે. પહેલી જાન્યુઆરીથી લઇને આજે સોમવાર સુધી ૩૫ દિવસના ગાળામાં દર્દીઓની સંખ્યા ૮૯૮થી પણ ઉપર પહોંચી ગઈ છે.

ગઇકાલે ૪૪ નવા દર્દીઓ નોંધાયા બાદ આજે સોમવારના દિવસે પણ નવા ૬૫ કેસ નોંધાયા હતા.  બેના મોત થયા હતા. અમદાવાદમાં સૌથી વધારે સ્વાઈન ફ્લુના કેસ સપાટી ઉપર આવી રહ્યા છે. ઉપરાંત સુરત, વડોદરા, જુનાગઢ મનપામાં પણ કેસ સપાટી ઉપર આવ્યા છે. આ વર્ષે રાજ્યમાં સ્વાઈન ફ્લુના દર્દીઓની સંખ્યા ૮૯૮થી પણ ઉપર પહોંચી ચુકી છે. બિનસત્તાવારરીતે આંકડો ૯૦૦થી ઉપર છે. ૪૪૪થી વધુ દર્દીઓ પુરતી સારવાર લીધા બાદ સ્વસ્થ થઇને ઘરે જતાં રહ્યા છે જ્યારે આશરે ૩૩૬ દર્દીઓ સારવાર હેઠળ છે. સારવારના ગાળા દરમિયાન જ ૪૩ દર્દીઓના મોત થઇ ચુક્યા છે. સ્વાઈન ફ્લુને રોકવા માટે તંત્ર તરફથી તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. સિઝનલ ફ્લુના કારણે અનેક દર્દીઓ સરકારીની સાથે સાથે ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરા અને અમદાવાદમાં સ્વાઈનફ્લૂનો આતંક વધારે દેખાઈ રહ્યો છે. સ્વાઈન ફ્લૂથી બચવા માટે તંત્ર દ્વારા અલગ વ્યવસ્થા અમદાવાદ સહિતના મહાનગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી હોસ્પિટલમાં કરવામાં આવી છે. ગયા વર્ષે સ્વાઈન ફ્લૂના મોટી સંખ્યામાં કેસો નોંધાયા હતા. તંત્ર દ્વારા આંકડા પણ જારી કરવામાં આવ્યા હતા. દેશના સ્વાઈન ફ્લૂ ગ્રસ્ત સૌથી વધારે આંકડા ધરાવતા રાજ્યોમાં ગુજરાત પણ સામેલ રહ્યું હતું. રાજસ્થાન સહિતના રાજ્યોમાં સ્વાઈન ફ્લૂના કેસો સપાટી પર આવી ચુક્યા છે. સ્વાઈન ફ્લુના સારવાર હેઠળ રહેલા ૩૩૬ લોકો પૈકી અનેક લોકોની હાલત ખરાબ હોવાનું પણ જાણવા મળ્યું છે.

Share This Article