વિજય માલ્યા માટે આર્થર રોડ જેલમાં ખાસ વ્યવસ્થા, બેરેક નંબર ૧૨ના સ્વરૂપને બદલી દેવાયુ છે

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ: હાલના સમયમાં મુંબઇની આર્થર રોડ જેલમાં બેરેક નંબર ૧૨ના સ્વરૂપને બદલી નાંખવા માટેનુ કામ ચાલી રહ્યુ છે. બેરેકની ફર્શ અને ટાઇલ્સ  બદલી દેવામાં આવી છે. દિવારોને વ્યવસ્થિત કરવામાં આવી રહી છે. બાથરૂમને નવેસરથી તૈયાર કરવામાં આવ્યાના સમાચાર મળ્યા છે.

આ તમામ કામ એટલા માટે ચાલી રહ્યુ છે કે ફરાર કારોબારી વિજય માલ્યાએ બ્રિટન સમક્ષ પોતાના પ્રત્યાર્પણ મામલે દેશની જેલોમાં રહેલી ખરાબ સ્થિતીનો ઉલ્લેખ કર્યો છે. એમ માનવામાં આવે છે કે વિજય માલ્યાને જો ભારત લાવવામાં આવશે તો આર્થર રોડ જેલની અંદર નવેસરથી તૈયાર કરવામાં આવી રહેલા બેરેકમાં રાખવામાં આવશે. ભારત અને બ્રિટન વચ્ચે  પ્રત્યાર્પણને લઇને વાતચીત અંતિમ તબક્કામાં છે. સીબીઆઇને જેલમાં બની રહેલી સારી સેલના વિડિયો પણ તૈયાર કરી લીધા છે. પ્રત્યાર્પણની પ્રક્રિયામાં મદદરૂપ થવા માટે આ વિડિયો કોર્ટમાં સોંપવામાં આવનાર છે. આ ટોપ સિક્રેટ વિડિયો વિદેશ મંત્રાલયને સોંપી દેવામાં આવનાર છે.

પીડબલ્યુડીના કોન્ટ્રાક્ટને લેનાર પ્રમેશ કન્સ્ટ્રકશને બેરેકમાં નવેસરથી નિર્માણ કામગીરી હાથ ધરી છે. વાતચીતમાં કોન્ટ્રાક્ટરે કહ્યુ છે કે નવેસરથી કામગીરી ચાલી રહી છે. તેમણે કહ્યુ છે કે બેરેક નંબર ૧૨માં કામ કરવામાં આવી રહ્યુ છે. આ બેરેકને મુંબઇ હુમલાના દોષિત કસાબને રાખવા માટે તૈયાર કરવામાં આવી હતી. તેમણે કહ્યુ હતુ કે આ સંબંધમાં તેમને વધારે માહિતી મ આપવા માટે કહેવામાં આવ્યુ છે. તેમના કર્મચારીઓ ત્યાં કામ કરી રહ્યા છે. સેલમાં બેરેક નંબર ૧૨ તરફ દોરી જતા રસ્તાને પાકો બનાવી દેવામાં આવ્યો છે. કાળી દીવાલોને પેઇન્ટ કરાઇ છે.

Share This Article