‘સેલ્ફી વિથ ડોટર’ કેમ્પેઈન ચલાવનાર સુનીલ જગલાન સાથે PMએ વાત કરતા કહ્યું, “આ એક વૈશ્વિક અભિયાન બની ગયું છે..”

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

PM નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો ૧૦૦મો એપિસોડ રવિવારે પ્રસારિત થયો હતો. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ હરિયાણાના જીંદના સુનીલ જગલાનના વખાણ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ‘જ્યારે મને સુનીલ જગલાન અને સેલ્ફી વિથ ડોટર વિશે ખબર પડી તો હું ખૂબ જ ખુશ થયો. મને પણ તેમની પાસેથી શીખવાનું મળ્યું છે અને તેથી જ મેં તેમને મન કી બાત કાર્યક્રમમાં સામેલ કર્યા છે.’પીએમએ કહ્યુ હતુ કે, ‘ખૂબ જ ઓછા સમયમાં સેલ્ફી વિથ ડોટર અભિયાન વૈશ્વિક અભિયાન બની ગયું છે. આ અભિયાનને સેલ્ફી કે ટેક્નોલોજી સાથે કોઈ લેવાદેવા નથી. આ એક દીકરીના મહત્વને લગતું અભિયાન છે. આ અભિયાન દ્વારા લોકોને દીકરીના મહત્વ વિશે પણ જાણકારી મળી છે. આ જ કારણ છે કે આ અભિયાનને કારણે હરિયાણામાં દીકરીઓની સંખ્યા વધી છે અને લિંગ રેશિયો પણ વધ્યો છે.’વાસ્તવમાં હરિયાણામાં છોકરાઓ કરતાં છોકરીઓની સંખ્યા ઘણી ઓછી હતી. આ જ કારણોસર પીએમ મોદીએ પાણીપતમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનની શરૂઆત કરી હતી. બાદમાં સુનીલ જગલાને ૯ જૂન, ૨૦૧૫ના રોજ ‘સેલ્ફી વિથ ડોટર’ અભિયાન શરૂ કર્યું હતું. પીએમ મોદીએ ૨૮ જૂન ૨૦૧૫ના રોજ ‘મન કી બાત’ કાર્યક્રમમાં સૌપ્રથમ સુનીલનો ઉલ્લેખ કર્યો હતો.

આ પછી ૧૩ નવેમ્બર, ૨૦૧૫ના રોજ ઇંગ્લેન્ડના વેમ્બલી શહેરમાં એનઆરઆઈ સાથે વાતચીત કરતી વખતે પીએમએ હરિયાણાને ‘સેલ્ફી વિથ ડોટર’ અભિયાનમાં જોડાવા માટે આહ્વાન કર્યું. જગલાને વર્ષ ૨૦૧૨માં બીબીપુર ગામમાં મહિલા લક્ષી ખાપ પંચાયત ‘લાડો પંચાયત’નું આયોજન કર્યું હતું, જેમાં ઘણી મહિલાઓએ ભાગ લીધો હતો અને સ્ત્રી ભ્રૂણ હત્યા સામે અવાજ ઉઠાવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, સુનીલ જગલાન જીંદની બીબીપુર પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જાગૃતિ વધ્યા બાદ હવે હરિયાણામાં સેક્સ રેશિયો વધ્યો છે અને હવે ૧૦૦૦ છોકરાઓ સામે છોકરીઓની સંખ્યા વધીને ૯૨૩ થઈ ગઈ છે.

Share This Article