શ્રીનગર : ભારતમાં આતંક મચાવવા માટે અંકુશરેખા પેલેપાર અનેક ત્રાસવાદી કેમ્પો ચાલી રહ્યા છે. હાલમાં એલઓસી પાર સાતથી વધુ ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યા છે. લશ્કરે તોઇબા વૈશ્વિક આતંકવાદી સંગઠન તરીકે છે. ઓપરેશન ઓલઆઉટના કારણે ત્રાસવાદીઓની કમર તુટી ચુકી છે. મોટી સંખ્યામાં કુખ્યાત ત્રાસવાદી ઠાર મરાયા છે પરંતુ ત્રાસવાદીઓ તેમની હાજરી પુરવા કરવા માટે તૈયાર છે.આંકડા દર્શાવે છે ૨૦૧૭માં દુનિયાભરના જુદા જુદા ક્ષેત્રોમાંથી ૪૫૦થી વધુ યુવાનોની ભરતી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૮માં પણ ભરતીની પ્રક્રિયા ગુપ્ત રીતે ચાલી રહી હતી. કેમ્પ માટે પસંદગી કરવામાં આવેલા યુવાનોને ભારત વિરોધી ઓપરેશન માટે તાલીમ આપવામાં આવી રહી છે. આ યુવાનોને હથિયાર ચલાવવા અને બ્લાસ્ટ કરવાની તાલીમ અપાઈ રહી છે.
આતંકવાદી હમઝાની હાલમાં જ પુછપરછ કરવામાં આવ્યા બાદ કેટલીક ચોંકાવનારી વિગતો ખુલી છે. લશ્કરના ૨૦ વર્ષીય ત્રાસવાદી જબુલ્લાહ ઉર્ફે હમઝાની એનઆઈએ દ્વારા પુછપરછ કરવામાં આવી છે. ગયા વર્ષે તેની સાતમી એપ્રિલના દિવસે કુપવારામાં ધરપકડ કરાઈ હતી. પોકમાં મુઝફ્ફરાબાદમાં સાત ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં હાલમાં ઘુસણખોરીના પ્રયાસો પાકિસ્તાની ત્રાસવાદીઓએ વધારી દીધા છે જે સંકેત આપે છે કે, આગામી દિવસોમાં મોટા ત્રાસવાદી હુમલા થઇ શકે છે. હાલમાં ઘુષણખોરીના પ્રયાસમાં મોટી સંખ્યામાં ત્રાસવાદી ફુંકાયા છે. આ વર્ષે મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ માર્યા ગયા છે.
ત્રાસવાદી ઘુસણખોરીના કેટલાક પ્રયાસ કરી ચુક્યા છે. જોકે સેના અને સુરક્ષા દળો દ્વારા ખુબ આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યુ છે. જેના કારણે ત્રાસવાદીઓને સફળતા મળી રહી નથી. સંરક્ષણ પ્રવક્તાનું કહેવું છે કે, આ વર્ષે ઘુસણખોરીના શ્રેણીબદ્ધ પ્રયાસોને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા છે. ત્રાસવાદીઓ સતત હુમલા કરવાના ઇરાદા સાથે ઘુસણખોરી કરી રહ્યા છે. સેનાના અધિકારીઓના કહેવા મુજબ પાકિસ્તાની સેના યુદ્ધ વિરામનો ભંગ કરીને હજુ પણ ગોળીબાર કરી શકે છે. આનો મુખ્ય ઇરાદો અંકુશરેખા મારફતે આતંકવાદીઓને ઘુસાડવાનો રહ્યો છે. કાશ્મીરમાં જ નહીં બલ્કે દેશના અન્ય ભાગોમાં પણ હુમલા કરવાની યોજના ત્રાસવાદીઓ બનાવી રહ્યા છે. આજ કારણસર ઘુસણખોરીના પ્રયાસો વધારી દેવાયા છે. ગઇકાલે સાંજે પણ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં બે જવાન શહીદ થયા હતા.