રાહુલ ગાંધીએ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા પછી ગુજરાત કોંગ્રેસની સાફસૂફી કરવા માંડી છે. જૂના નેતાઓને દૂર કરીને નવા નેતૃત્વને આગળ કરવા માંડ્યું છે અને જૂના નેતાઓ વિઘ્ન ઉભું ના કરે તેવાં પગલાં પણ ભરવા માંડ્યાં છે. આ પ્રક્રિયાને આગળ ધપાવીને હવે તેમણે શક્તિસિંહ ગોહિલને ગુજરાત બહાર મોકલ્યા છે.
રાહુલ ગાંધીના આદેશથી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલને બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ અગાઉ બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકે રાજસ્થાનના સી.પી. જોશી હતા. હવે તેમના સ્થાને શક્તિસિંહ ગોહિલ બિહાર કોંગ્રેસના પ્રભારી બન્યા છે.
ઉલ્લેખનીય છે કે બિહારમાં કોંગ્રેસનું અસ્તિત્વ જ નથી અને કોંગ્રેસ લાલુ પ્રસાદ યાદવની બી ટીમ તરીકે કામ કરે છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 27 અને લોકસભાની 2014ની ચૂંટણીમાં 2 બેઠકો મળી હતી. આ સંજોગોમાં શક્તિસિંહ ગોહિલે બિહારમાં લાલુ પ્રસાદ યાદવની પાર્ટી સાથે સંકલન સિવાય કોઈ કામગીરી કરવાની નથી.
રાહુલ ગાંધીએ યુવા નેતાઓ સરળતાથી કામ કરી શકે તે માટે જૂના નેતાઓને બીજી જવાબદારી સોંપવા માંડી છે. તેના ભાગરૂપે હવે પછી અર્જુન મોઢવડિયા, સિધ્ધાર્થ પટેલ વગેરેનો વારો આવશે. આગામી દિવસોમાં યુવા કોંગ્રેસ પ્રમુખ નવી ટીમની જાહેરાત કરશે. જેમાં પણ યુવાનોને વધુ સ્થાન આપવામાં આવે તેવી શક્યતાઓ છે.