સરદાર સરોવર નર્મદા ડેમ ફરી એકવાર છલકાવાને આરે, ડેમની સપાટી ૧૩૫.૬૫ મીટરે પહોંચી

Rudra
By Rudra 1 Min Read

સમગ્ર રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ફરી એકવાર છલકાવાને આરે છે, મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટરથી માત્ર થોડા જ મીટર દૂર છે.
હાલમાં ડેમની સપાટી ૧૩૫.૬૫ મીટરે પહોંચી ગઈ છે, ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે રાહત લઈને આવ્યા છે, કારણ કે આનાથી પીવાના પાણી અને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહેશે. છેલ્લા ૨૪ કલાકમાં જ ડેમની સપાટીમાં ૧૦૦ સે.મી.નો વધારો થયો છે.

ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદ બાદ ડેમમાં પાણીની સતત આવક ચાલુ રહેતા તંત્ર દ્વારા આવશ્યકતા મુજબ પાણી છોડવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. હાલમાં નર્મદા નદીમાં પાણીની આવક ૧.૭૨ લાખ ક્યુસેક જેટલી છે, જ્યારે નદીમાં જાવક ૪૪,૦૨૪ ક્યુસેક છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, આવતીકાલે સવારે ૮ વાગ્યે ડેમના દરવાજા ફરીથી ખોલવામાં આવશે અને રિવરબેડ પાવરહાઉસમાંથી ૪૫,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવશે. આ ર્નિણયથી નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો પ્રવાહ વધી શકે છે.

ડેમમાં પાણી ની ભરપુર આવક બાદ, ડેમમાંથી પાણી છોડવામાં આવતા, નર્મદા અને ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કાંઠા વિસ્તારના નાગરિકોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમને સાવચેતી રાખવા અને નદીના પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા સલામતીનાં તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. આ વર્ષે સારા વરસાદને કારણે નર્મદા ડેમ છલોછલ ભરાતા સમગ્ર રાજ્યમાં ખુશીનો માહોલ છે.

Share This Article