રશિયાએ ભારતના પ્રવાસીઓ અને વેપારીઓ માટે વિઝા ફ્રી સ્કીમ શરૂ કરવાની કરી જાહેરાત

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

પ્રધાનમંત્રી મોદી જ્યારથી દેશની કમાન સંભાળી રહ્યાં છે ત્યારથી દુનિયાના દેશોનો ભારત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાયો છે. મોદીની લીડરશીપ અને તેમની ત્વરિત અને બોલ્ડ ડિશિજન લેવાની આવડતની દુનિયાના દેશોના લીડર્સ પણ કાયલ છે. મોદીની વિદેશનીતિઓ પણ ભારતને દુનિયા સમક્ષ એક મજબૂત રાષ્ટ્ર તરીકે પ્રેઝન્ટ કરે છે. એટલું જ નહીં દુનિયાભરના દેશોના વડાઓ સાથે મોદીની મિત્રતાએ ઔપચારિકતાથી વધારે અને અંગત નિકટતા ભરી હોય છે. જેને કારણે ભારતને તેનો લાભ મળે છે. એ જ કારણ છેકે, મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની દોસ્તીનો લાભ કરોડો ભારતીયોને મળવા જઈ રહ્યો છે. રશિયા ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રીની વ્યવસ્થા શરૂ કરવા પર વિતાર કરી રહ્યું છે.

મોસ્કો સિટી ટુરિઝમ કમિટીના ડેપ્યુટી ચેરમેન અલીના અરુતુનોવાએ મુંબઈમાં એક કાર્યક્રમમાં જણાવ્યું કે રશિયા ભારતીય વેપારીઓ અને પ્રવાસીઓ માટે વિઝા ફ્રી સ્કીમ શરૂ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે અને તેને ઝડપથી શરૂ પણ કરી દેશે. જોકે ભારતીયો માટે ઈ-વિઝાની સ્કીમ પણ શરૂ કરશે, જેથી વધારેથી વધારે ભારતીયો કોઈપણ જાતની મુશ્કેલી વિના રશિયાની યાત્રા કરી શકે. અરુતુનોવાએ કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વિઝા ફ્રી સ્કીમની પહેલનું સમર્થન કરે છે. ઈરાન માટે વિઝા ફ્રી સ્કીમને પહેલાંથી જ લીલી ઝંડી મળી ચૂકી છે અને આશા છે કે ટૂંક સમયમાં ભારત માટે આ સ્કીમ શરૂ થઈ શકે છે. તુર્કી, જર્મની અને ભારતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ રશિયા આવે છે.

૨૦૨૦માં ભારત સહિત ૫૨ દેશો માટે ઈલેક્ટ્રોનિક વિઝા શરૂ કરવાનો એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. પરંતુ કોરોનાના કારણે તે હજુ સુધી લાગુ થઈ શક્યું નથી. પરંતુ અમને આશા છે કે તે ટૂંક સમયમાં શરૂ થઈ જશે અને ઈ-વિઝાથી વિદેશી પ્રવાસીઓના આગમનની પ્રક્રિયા સરળ થશે. પ્રવાસનના ક્ષેત્ર પર પડેલા રશિયા-યુક્રેન યુદ્ધની અસર વિશે જણાવતાં તેમણે કહ્યું કે દુનિયાભરમાં અનિશ્વિતતાના માહોલમાં પ્રવાસન લોકો અને સંસ્કૃતિઓની વચ્ચે એક પુલનું કામ કરે છે. આ વર્ષની શરૂઆતના ૬ મહિના દરમિયાન રશિયામાં ૧૩,૩૦૦ ભારતીય પ્રવાસીઓ આવ્યા હતા. આશા છે કે ૨૦૨૩ના અંત સુધી આ આંકડો મહામારીના પહેલાના સમય જેવો થઈ જશે. ૨૦૧૬થી ૨૦૧૯ની વચ્ચે ભારતમાંથી રશિયા માટે પ્રવાસીઓની અવરજવર ૬૧,૦૦૦થી ૧ લાખ સુધી પહોંચી ગઈ હતી. દિલચશ્પ વાત એ છે કે ૨૦૨૧માં રશિયા આવનારા ભારતીય યાત્રીઓમાં ૪૮ ટકા લોકોએ બે વખત અહીંનો પ્રવા કર્યો હતો. એક ટ્રાવેલ એજન્ટે જણાવ્યું કે ૨૦૨૧માં રશિયા તે કેટલાંક દેશોમાંથી એક હતો જ્યાં આવનારા લોકો માટે ક્વોરન્ટાઈન નિયમ લાગુ કરાયો ન હતો. ભારતીય નેપાળ, મકાઉ, ફિઝી, માર્શલ આઈલેન્ડ, જોર્ડન, ઓમાન, કતાર, અલ્બાનિયા, સર્બિયા, બાર્બાડોસ, સમોઆ, પલાઉ આઈલેન્ડ, માઈક્રોનેશિયા, ભૂતાન, બ્રિટિશ વર્જિન આઈલેન્ડ, ડોમિનિકા, ગ્રેનેડા, હૈતી, જમૈકા, મોન્ટેસેરાટ, સેન્ટ કિટ્‌સ એન્ડ નેવિસ, સેન્ટ વિન્સેન્ટ એન્ડ ગ્રેનેજિયન્સ, ત્રિનિદાદ એન્ડ ટોબેગો, કંબોડિયા, ઈન્ડોનેશિયા, સેન્ટ લુસિયા, લાઓસ, મકાઓ, થાઈલેન્ડ, તિમોર-લેસ્તે, બોલીવિયા, ગેબોન, ગીની-બિસાઉ, કુક આઈલેન્ડ, નિયૂ, તુવાલુ, વનુઆટુ, ઈરાન, ટોગો, ટ્યુનિશિયા, યુગાન્ડા, ઈથોપિયા, ઝિમ્બાબ્વે, કેપ વર્ડે આઈલેન્ડ, કોમોરો આઈલેન્ડ, એલ સાલ્વાડોર, બુરુન્ડી, માડાગાસ્કર, મોરિટાનિયા, મોઝામ્બિક, રવાન્ડા, સેનેગલ, સેશલ્સ, સિએરા લિયોન, સોમાલિયા, તન્ઝાનિયા જેવા લગભગ ૬૦ દેશોમાં વિઝા વિના એન્ટ્રી કરી શકે છે.

ભારતીયોને અનેક દેશ વિઝા ઓન અરાઈવલની સુવિધા પણ આપે છે. જેનો અર્થ એ છે કે તે તમને એરપોર્ટ પર તરત વિઝા આપશે. આપણા પાડોશી દેશ શ્રીલંકામાં પણ ભારતીય પ્રવાસીઓને વિઝા ઓન અરાઈવલની સુવિધા આપે છે. સાથે જ મોરેશિયસ, માલદીવ, હોંગકોંગ, મલેશિયા, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયા પણ ભારતમાંથી આવનારા લોકોને વિઝા ઓન અરાઈવલની સુવિધા આપે છે.

Share This Article