રેપો અને રિવર્સ રેપોરેટમાં અંતે ઘટાડો :  લોન હવે વધુ સસ્તી થશે

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

મુંબઈ :  ભારતીય રિઝર્વ બેંકે આજે નાણાંકીય વર્ષની તેની ચોથી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠકના પરિણામ જાહેર કર્યા હતા. ધારણા પ્રમાણે જ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે રેપો રેટ હવે ઘટીને ૫.૧૫ ટકા થઇ ગયો છે. રેટ ઘટી જતા લોન પણ હવે સસ્તી થઇ રહી છે. જેથી સામાન્ય લોકોને રાહત મળનાર છે. આવી જ રીતે રિવર્સ રેપો રેટને ઘટાડીને ૪.૯ ટકા કરવામાં આવ્યો છે. છ સભ્યોની કમિટી દ્વારા નાણાંકીય વર્ષ માટે જીડીપી ટાર્ગેટ સુધારીને અગાઉના ૬.૯ ટકાની સરખામણીમાં ૬.૧ ટકા કર્યો છે. તમામ અર્થશાસ્ત્રીઓ પહેલાથી જ કાપની અપેક્ષા રાખી રહ્યા હતા.

આરબીઆઇએ સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. જેથી તમામ પ્રકારની હોમ અને અન્ય લોન સસ્તી થશે. આરબીઆઇએ સામાન્ય લોકો અને કંપનીઓને મોટી રાહત આપી દીધી છે.  સતત પાંચમી વખત રિઝર્વ બેંક દ્વારા રેપોરેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ૨૦૧૬માં આની રચના કરવામાં આવ્યા બાદ મોનિટરી પોલિસી દ્વારા પાંચમી  વખત વ્યાજદરમાં ઘટાડો કરાયો છે.આજના ઘટાડા પહેલા સુધી  રેપોરેટમાં ૧૧૦ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ઓગસ્ટ મહિનામાં રિઝર્વ બેંકે ઉલ્લેખનીયરીતે ઘટાડો કરીને તમામને ચોંકાવી દીધા હતા. ઓગષ્ટ મહિનામાં એમપીસી દ્વારા પોલીસી રેટમાં ૩૫ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કર્યો હતો. ભારતીય રિઝર્વ બેંકે ઓગષ્ટ મહિનામાં નાણાંકીય વર્ષની તેની ચોથી  દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠકમાં રેપોરેટમાં ૦.૩૫ ટકાનો ઘટાડો કર્યો હતો.  આની સાથે જ રેપોરેટ  ૫.૭૫ ટકાથી ઘટીને ૫.૪૦ ટકા થઇ ગયો હતો.  આવી જ રીતે રિવર્સ રેપો રેટ ૫.૭૫ ટકાથી ઘટીને હવે ૫.૧૫ ટકા થઇ ગયો હતો. સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સતત ચોથી વખત આરબીઆઇ દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ હવે પાંચમી વખત રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રેપો રેટ સપ્ટેમ્બર ૨૦૧૦ બાદ સૌથી નીચી સપાટી પર હતો. આરબીઆઇ આ વર્ષે પહેલાથી જ રેપો રેટમાં ત્રણ વખત ૦.૭૫ ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. ત્યારબાદ વધુ એક વખત રેટમાં કાપ મુક્યો હતો.

અમે વારંવાર રિવર્સ રેપોરેટ, રેપોરેટ, સીઆરઆર, એસએલઆર જેવા શબ્દો સાંભળીએ છીએ. બેંકોને પોતાના દરરોજના કામકાજ માટે એવી મોટી રકમની જરૂર હોય છે જેની અવધિ એક દિવસથી વધારેની હોતી નથી. આના માટે બેંક સામાન્યરીતે રિઝર્વ બેંકથી એક દિવસ માટે ઓવરનાઇટ લોન મેળવે છે. આ લોન ઉપર રિઝર્વ બેંકને તેમને વ્યાજ ચુકવવાની જરૂર હોય છે. જે વ્યાજ ચુકવવાની જરૂર હોય છે તેને રેપોરેટ કહેવામાં આવે છે.

બીજી બાજુ રિવર્સ રેપોરેટ આનાથી બિલકુલ અલગ હોય છે. બેંકોની પાસે દિવસભર કામકાજ બાદ મોટી રકમ બચી જાય છે. બેંક આ રકમ રિઝર્વ બેંક પાસે રાખી શકે છે જેના ઉપર તેમને વ્યાજ મળે છે જે રકમ ઉપર આ વ્યાજ મળે છે તેને રિવર્સ રેપોરેટ કહેવામાં આવે છે. આવી જ રીતે તમામ બેંકો માટે જરૂરી હોય છે કે, તે પોતાની પાસેના કુલ કેશ રિઝર્વનો એક ચોક્કસ હિસ્સો બેંક પાસે જમા રાખે અને કેશ રિઝર્વ રેશિયો કહેવામાં આવે છે. મોનિટરી પોલીસી કમિટીની બેઠક ચોથી ઓક્ટોબરના દિવસે તેની બેઠકના પરિણામ જાહેર કરનાર છે આર્થિક વિકાસનો દર છ વર્ષની નીચી સપાટી પર પહોંચી ગયા બાદ હાલત કફોડી બનેલી છે. આર્થિક મંદીની સ્થિતીમાં સરકાર દ્વારા માર્કેટમાં તેજી લાવવા માટેના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સ્થિર ફુગાવાના રેટ વચ્ચે આર્થિક વિકાસ દર નીચી સપાટી પર પહોંચ્યો છે.

Share This Article