રાજ્યમાં ધોરણ ૧થી ૫માં થયેલી વિદ્યાસહાયકોની ભરતી રદ, નવું સમયપત્રક ટૂંક સમયમાં જાહેર થશે

Rudra
By Rudra 2 Min Read

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા શરૂ છે, ત્યારે ધોરણ ૧થી ૫ ગુજરાતી માધ્યમની વર્ષ ૨૦૨૪ની વિદ્યાસહાયક ભરતી પસંદગી પ્રક્રિયા રદ કરવાનો શિક્ષણ વિભાગે ર્નિણય કર્યો છે. જ્યારે હવે આ ભરતીને લઈને નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યાસહાયક ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

આ બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા વિદ્યાસહાયક ભરતી ધોરણ ૧ થી ૫ ગુજરાતી માધ્યમની વર્ષ ૨૦૨૪ની ભરતી અન્વયે ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા મુદ્દે નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યાસહાયક ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરવાનો ર્નિણય કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલા ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર ‘રિઝલ્ટ‘ શબ્દ હોવાના કારણે પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢતાં ઉમેદવારોના મેરીટમાં ફેરફાર થતા ઉમેદવારોમાં અસંતોષ થવાની શકયતાને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો ર્નિણય કરવામાં આવ્યો છે.

આ સંદર્ભે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ધોરણ ૧ થી ૫ ગુજરાતી માધ્યમ માટેની વિદ્યાસહાયક ભરતી વર્ષ ૨૦૨૪ માટે ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા ૨૨ મે ૨૦૨૫થી શરૂ કરવામાં આવી છે. જ્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉમેદવારોના મેરીટમાં ફેરફારને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે અન્ય ઉમેદવારને અન્યાય ન થાય તે હેતુથી ૨૨ મે ૨૦૨૫થી ૩૧ મે, ૨૦૨૫ સુધી કરવામાં આવેલી જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ કરવાનો ર્નિણય કર્યો છે.

વિદ્યાસહાયક ભરતીની પસંદગી પ્રક્રિયાના નિયમ મુજબ સ્નાતકની ત્રીજા વર્ષની માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણના આધારે જ મેરીટ ગણતરી બાદ હવે નવેસરથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવાનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ ર્નિણય કર્યો છે. જ્યારે હવે આ ભરતીને લઈને નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યાસહાયક ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

Share This Article