રેપ ગુજારી મહિલા તબીબની હત્યા : લાશ સળગાવી દીધી

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

તેલંગાણા પોલીસે પાટનગર હૈદરાબાદમાં એક મહિલા સરકારી ડોક્ટરની સાથે રેપ, હત્યા અને પછી સળગાવી દેવાના આરોપમાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં લોરીના ડ્રાઇવર મોહમ્મદ પાસાનો સમાવેશ થાય છે. આ ગાળા દરમિયાન પીડિતાની માતાએ તમામ દોષિતોને જાહેરમાં સળગાવી દેવાની જોરદાર માંગણી કરી છે. પરિવારના સભ્યોનું કહેવું છે કે, જો સાઇબરાબાદ પોલીસ કાર્યવાહી કરવા ઇચ્છુક હોય તો વધુ કઠોર કાર્યવાહી થઇ શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી હોત તો પીડિતાને બચાવવામાં સફળતા મળી ગઈ હોત પરંતુ પોલીસ નિષ્ક્રિય દેખાઈ હતી. હૈદરાબાદમાં તબીબ પર બળાત્કાર અને હત્યાના મામલામાં પોલીસ પીડિતાના પરિવારને દોડાવતી રહી હતી.

પીડિતાની માતાનું કહેવું છે કે, તેની પુત્રી ખુબ જ માસુમ હતી. તે ઇચ્છે છે કે, દોષિતોને પણ જીવિત સળગાવી દેવામાં આવે. માતાનું કહેવું છે કે, ઘટના બાદ તેની નાની પુત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચી હતી પરંતુ તેને બીજા પોલીસ સ્ટેશનમાં મોકલી દેવામાં આવી હતી. મોડેથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેના લીધે તપાસમાં વિલંબ થઇ ગયો હતો. પીડિતાની બહેનનું કહેવું છે કે, એક પોલીસથી બીજા પોલીસ સ્ટેશનમાં જવાના કારણે તેમનો ખુબ સમય ખરાબ થઇ ગયો હતો. જો પોલીસે સમય ખરાબ કર્યા વગર તપાસ કરી હોત તો તેની બહેનને બચાવી શકાય હોય. બીજી બાજુ રાષ્ટ્રીય મહિલા પંચ દ્વારા પણ સમગ્ર મામલામાં તપાસની માંગ કરી છે અને દોષિતોને સજા મળે ત્યાં સુધી ઉંડી તપાસ જારી રાખવાની ખાતરી આપી છે. મહિલા તબીબની લાશ એટલા હદ સુધી સળગી ગઈ હતી કે ઓળખી શકાય ન હતી. પીડિતાએ ગણેશ ભગવાનનું લોકેટ પહેરેલુ હતુ જેના આધાર પર મૃતદેહની ઓળખ થઇ શકી હતી.

હૈદરાબાદ-બેંગ્લોર હાઈવે પર સરકારી તબીબની અર્ધ સળગેલી લાશ મળી આવી હતી. એમ માનવામાં આવે છે કે, ૨૭ વર્ષીય મહિલા તબીબ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ આરોપીઓએ તબીબની લાશને સળગાવીને એક ફ્લાય ઓવર નીચે ફેંકી દીધી હતી. મહિલા તબીબ પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે રસ્તામાં તેની ગાડી ખરાબ થતાં આ બનાવ બન્યો હતો. રાત્રે તેને એકલી જોઇને અપરાધીઓએ બનાવને અંજામ આપ્યો હતો.

Share This Article