અમદાવાદ: આગામી પ્રો કબડ્ડી લીગ સીઝન પહેલા અદાણી સ્પોર્ટ્સલાઈનએ અનુભવી કબડ્ડી વ્યૂહરચનાકાર રણધીર સિંહ સેહરાવતને ગુજરાત જાયન્ટ્સના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે.
‘કબડ્ડીના ચાણક્ય’ તરીકે જાણીતા સેહરાવત લીગના સૌથી અનુભવી કોચોમાંના એક માનવામાં આવે છે. તેઓ 2014માં લીગ શરૂ થઈ ત્યારથી PKL સાથે સંકળાયેલા છે. તેમના કોચિંગ કાર્યકાળ દરમિયાન તેમની ટીમે સીઝન-6માં ટાઇટલ જીત્યું હતું અને કુલ છ વખત પ્લેઓફ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.
અર્જુન એવોર્ડથી સન્માનિત સેહરાવત પાસે કબડ્ડી ક્ષેત્રે લાંબો અનુભવ છે. તેમણે ઇન્ડિયન રેલવેની કબડ્ડી ટીમને પણ કોચિંગ આપ્યું છે, જેમાં પુરુષ અને મહિલા બંને ટીમોએ અનેક રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં જીત મેળવી છે.
ખેલાડી તરીકે પણ સેહરાવતનો કારકિર્દી શાનદાર રહ્યો છે. તેમણે 1988ની એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ, 1989ની સાઉથ એશિયન ગેમ્સ તેમજ 1990 એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1990 એશિયન ગેમ્સમાં તેઓ ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રહ્યા હતા.
પોતાની નિમણૂક અંગે સેહરાવતે જણાવ્યું કે, “પ્રો કબડ્ડી લીગમાં પાછા ફરવાની તક મળતાં મને ખૂબ આનંદ થાય છે. આ માટે હું અદાણી સ્પોર્ટ્સલાઈનનો આભારી છું. ગુજરાત જાયન્ટ્સમાં યુવા પ્રતિભા અને અનુભવી ખેલાડીઓનું સારો સમન્વય છે અને અમે આ સીઝનમાં ટાઇટલ જીતવાનું લક્ષ્ય રાખી રહ્યા છીએ.”
આ અંગે અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય અદેસરાએ જણાવ્યું કે, “રણધીર સિંહ સેહરાવત જેવા અનુભવી કોચનું ગુજરાત જાયન્ટ્સમાં સ્વાગત કરતા અમને આનંદ થાય છે. તેમની વ્યૂહરચના અને રમત અંગેની ઊંડી સમજ આગામી PKL સીઝનમાં ટીમને વધુ મજબૂત બનાવશે.”
સેહરાવતની નિમણૂક સાથે આગામી PKL સીઝન માટે વધુ સ્પર્ધાત્મક ગુજરાત જાયન્ટ્સ ટીમ ઉભી કરવાની અદાણી સ્પોર્ટ્સલાઈનની તૈયારીને વધુ બળ મળ્યું છે.
