બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવ હાલમાં તેમના ચેક બાઉન્સ કેસને લઈને ચર્ચામાં છે. અદાલતના આદેશ બાદ અભિનેતાએ 5 ફેબ્રુઆરીના રોજ દિલ્હીની તિહાડ જેલમાં સરેન્ડર કર્યું હતું. અદાલતે અભિનેતાને રકમની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો, પરંતુ સમયસર પૈસાની વ્યવસ્થા ન થઈ શકતા અદાલતે તેમની અંતિમ અરજી નામંજૂર કરી અને સરેન્ડર કરવાનો આદેશ આપ્યો. અંતે, રાજપાલ યાદવે 5 ફેબ્રુઆરી 2026ના રોજ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું.
તાજેતરમાં આવેલી એક ખબર મુજબ, તિહાડ જેલમાં સરેન્ડર કરતા પહેલા રાજપાલ યાદવે ભાવુક નિવેદન આપીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. તિહાડ જેલમાં સરેન્ડર કરતા પહેલાં રાજપાલ યાદવે કથિત રીતે ભાવુક નિવેદન આપ્યું હતું, જેનાથી સ્પષ્ટ થાય છે કે આ કેસને કારણે તેઓ કેટલા પરેશાન છે. ફિલ્મીબીટના અહેવાલ મુજબ, અભિનેતાએ કહ્યું, “સર, હું શું કરું? મારી પાસે કોઈ પૈસા નથી. અને કોઈ બીજો રસ્તો પણ દેખાતો નથી. સર, અહીં આપણે બધા એકલા છીએ. મારા કોઈ મિત્રો પણ નથી. મને આ બધી સમસ્યાઓનો સામનો પોતે જ કરવો પડશે.”
શું છે સમગ્ર મામલો?
હકીકતમાં, આ કેસ છેલ્લા 16 વર્ષથી રાજપાલ યાદવનો પીછો કરી રહ્યો છે. વર્ષ 2010માં રાજપાલ યાદવે પોતાની ડિરેક્ટોરિયલ ડેબ્યૂ ફિલ્મ ‘અતા પતા લાપતા’ માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ફિલ્મ પાસેથી તેમને ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ બોક્સ ઓફિસ પર ફિલ્મ ફ્લોપ થઈ ગઈ અને રાજપાલ યાદવને ભારે નુકસાન ભોગવવું પડ્યું.
લોન ચુકવવામાં નિષ્ફળ જતા, રાજપાલ યાદવ અને તેમની પત્ની દ્વારા આપવામાં આવેલા ચેક પણ બાઉન્સ થયા. ચેક બાઉન્સ થતાં અભિનેતા સામે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો. એપ્રિલ 2018માં અભિનેતા અને તેમની પત્નીને 6 મહિનાની સજા સંભળાવવામાં આવી હતી, ત્યારબાદ બંનેએ હાઇકોર્ટમાં અપીલ કરી અને સજા પર સ્ટે મેળવી લીધો.
પરંતુ સમાધાન ન થવાને કારણે સ્ટે હટાવી દેવામાં આવ્યો અને ત્યાં સુધીમાં વ્યાજ અને દંડ સહિત કુલ રકમ 9 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. રાજપાલ યાદવે 75 લાખ રૂપિયા સહિત થોડું આંશિક ચુકવણી કરી હતી, પરંતુ મોટી રકમ ચૂકવવામાં તેઓ હજુ પણ નિષ્ફળ રહ્યા.
4 ફેબ્રુઆરીએ અંતિમ અરજી નામંજૂર
રાજપાલ યાદવે ફંડ એકત્ર કરવા માટે એક અઠવાડિયાનો વધુ સમય માગ્યો હતો, પરંતુ અદાલતે 4 ફેબ્રુઆરી 2026ના રોજ તેમની અંતિમ અરજી નામંજૂર કરી દીધી. સુનાવણી દરમિયાન અદાલતે સ્પષ્ટ કહ્યું કે માત્ર પ્રસિદ્ધ વ્યક્તિ હોવાના આધાર પર વારંવાર રાહત આપી શકાય નહીં. ત્યારબાદ રાજપાલ યાદવે 5 ફેબ્રુઆરીના રોજ તિહાડ જેલ પ્રશાસન સમક્ષ સરેન્ડર કર્યું.
