પુલવામામાં લશ્કરે તોયબાના ૪ ખુંખાર ત્રાસવાદીઓ મોતને ઘાટ

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

પુલવામા :જમ્મુ કાશ્મીરના પુલવામા વિસ્તારમાં સુરક્ષા દળોને આજે ફરી એકવાર મોટી સફળતા હાથ લાગી હતી. પુલવામા જિલ્લાના લસ્સીપોરા વિસ્તારમાં ચોક્કસ બાતમીના આધાર પર ઓપરેશન હાથ ધરવામાં આવ્યા બાદ લશ્કરે તોયબાના ચાર ત્રાસવાદીઓને ઠાર મારી દેવામાં આવ્યા હતા. ઠાર કરવામાં આવેલા ચારેય ત્રાસવાદીઓ લશ્કરે તોયબાના હોવાની જાણકારી મળી છે. ઠાર કરવામાં આવેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો કબજે કરવામાં આવ્યા છે. સૈન્ય સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે ગુપ્ત સુચનાના આધાર પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હત.

લસ્સીપોરા વિસ્તારમાં અભિયાન ચલાવવામાં આવ્યા બાદ સુરક્ષા દળોની સાથે અથડામણ થઇ હતી. જેમાં ચાર ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. ઠાર થયેલા તમામ ચારેય ત્રાસવાદીઓ લશ્કરે તોયબાના હોવાની માહિતી મળ્યા બાદ તેમાં પણ વધુ તપાસ ચાલી રહી છે. પુલવામા વિસ્તારમાં હજુ ત્રાસવાદીઓ સ્થાનિક લોકોની મદદથી છુપાયેલા હોવાની માહિતી મળી રહી છે. પુલવામા હુમલા બાદ સુરક્ષા દળો દ્વારા અવિરત કાર્યવાહી કરવામાં આવી રહી છથે. બીજી બાજુ થોડાક દિવસ પહેલા અનંતનાગ જિલ્લામાં સેના અને પોલીસે એક સંયુક્ત કાર્યવાહી દરમિયાન હિઝબુલના ત્રાસવાદીની ધરપકડ કરી હતી. તેની ઓળખ રમીઝ અહેમદ તરીકે કરવામાં આવી હતી. હવે તેની પાસેથી જંગી માત્રામાં વિસ્ફોટકો કબજે કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, ઇન્ટેલિજન્સ રેકોર્ડ મુજબ આ વર્ષે જમ્મુ કાશ્મીરમાં જ્યારે ત્રાસવાદી સંગઠનોમાં નહીવંત જેટલી ભરતી રહી છે જ્યારે ૬૦થી વધારે ત્રાસવાદીઓને લશ્કરી ઓપરેશનમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. પાકિસ્તાન અને પોકમાંથી આ વર્ષે હજુ સુધી સેંકડો ત્રાસવાદીઓ દ્વારા ઘુસણખોરી કરવામાં આવી હતી.

જ્યારે ગયા વર્ષે ૨૦૧૮માં આ આંકડો ૧૨૩ ઉપર રહ્યો હતો. આ પ્રવાહને જાતા ખીણમાં સક્રિય ત્રાસવાદીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માર્યા ગયેલા આ ત્રાસવાદીઓમાં લશ્કરે તોયબાના ૧૪, હિજબુલના અને અલ બદરના ટોપ કમાન્ડર પણ સામેલ છે. રાજ્ય પોલીસ, સેના અને સીઆરપીએફનમા સંયુક્ત ઓપરેશનથી મોટી સફળતા હાંસલ થઇ રહી છે. પુલવામાં ત્રાસવાદી હુમલા બાદ સેના અને સુરક્ષા દળો ઓપરેશન વધારે તીવ્ર કરવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવી રહ્યો છે. સેનાએ વધુ આક્રમક વલણ અપનાવીને કાર્યવાહી જારી રાખી છે. બીજી બાજુ પુલવામા ત્રાસવાદી હુમલા બાદ પાકિસ્તાન ઉપર ચારેબાજુથી દબાણ આવી રહ્યું છે છતાં પણ પાકિસ્તાન જૈશે મોહમ્મદ સામે કોઇ કાર્યવાહી કરવાની દિશામાં આગળ વધી રહ્યું નથી. પુલવામા ખાતે સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને ૧૪મી ફેબ્રુઆરીના દિવસે આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. ત્યારબાદ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદીઓના અડ્ડા પર હવાઇ હુમલા કર્યા હતા. જેમાં સેંક્ડો ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. ભારતે પાકિસ્તાનમાં બાલાકોટ ખાતે જેશના અડ્ડાઓ પર હુમલા કર્યા હતા. તેમના લોંચ પેડ ફુંકી મારવામાં આવ્યા હતા.

Share This Article