ઝારખંડમાં ગરીબ પરિવારોને દર મહિને ૧૦૦ યુનિટ મફત મળશે વીજળી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઝારખંડની કેબિનેટે રાજ્યમાં જૂની પેન્શન યોજનાને કેટલીક શરતો સાથે લાગૂ કરવા સાથે ગરીબ પરિવારોને દર મહિને ૧૦૦ યુનિટ મફત વીજળી આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. એક અધિકારીએ જણાવ્યું કે જૂની પેન્શન યોજના લાગૂ કરવા માટે વિકાસ આયુક્તની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિ બનાવવામાં આવશે. મંત્રીમંડળ સચિવ વંદના દાદેલે અહીં પત્રકારોને કહ્યું કે આ સમિતિ યોજના લાગૂ કરવા માટે એક SOP નો ડ્રાફ્ટ તૈયાર કરશે. જેને મંજૂરી માટે મંત્રીમંડળમાં મોકલવામાં આવશે. જૂની પેન્શન યોજનાને એક એપ્રિલ ૨૦૦૪ના રોજ બંધ કરાઈ હતી. અને તેને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ સાથે બદલી દેવાઈ હતી. આ ઉપરાંત મંત્રીમંડળે ગરીબો માટે ૧૦૦ યુનિટ મફત વીજળીના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે. સરકારે ૨૦૨૨-૨૩ ના બજેટમાં તેની જાહેરાત કરી હતી. દાદેલે કહ્યું કે તેનો લાભ ૧૦૦ યુનિટ સુધી વીજળીનો ઉપયોગ કરવા પર લાગૂ થશે. ત્યારબાદ અલગ અલગ સ્લેબ લાગૂ થશે.

મંત્રીમંડળે કુલ ૫૫ પ્રસ્તાવોને મંજૂરી આપી છે. જેમાં ફૂડ સિક્યુરિટી સ્કીમ હેઠળ આવનારા દરેક પરિવારને પ્રતિ માસ એક રૂપિયે કિલો ચણાની દાળ ઉપલબ્ધ કરાવવાનો પ્રસ્તાવ પણ સામેલ હતો. કેબિનેટે આ સાથે મનરેગા મજૂરી હેઠળ ૨૭ રૂપિયા વધુ આપવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે.

આ ર્નિણય બાદ હવે ઝારખંડમાં મનરેગા મજૂરને હવે ન્યૂનતમ ૨૩૭ રૂપિયા મજૂરી આપશે. જ્યારે રાજ્યમાં ખાનગી ક્ષેત્રમાં સ્થાનિક ઉમેદવારોને રોજગારના નિયમોને પણ મંજૂરી આપી. કાયદા મુજબ ખાનગી કંપનીઓને રોજગારમાં સ્થાનિક લોકોને ૭૫ ટકા અનામત આપવાની હોય છે. ઝારખંડ જૂની પેન્શન યોજના લાગૂ કરવાની જાહેરાત કરનારું ત્રીજુ રાજ્ય બન્યું છે. આ અગાઉ રાજસ્થાન અને છત્તીસગઢ જૂની પેન્શન યોજના લાગૂ કરવાની જાહેરાત કરી ચૂક્યા છે.

Share This Article