શરાબ બધા લોકોને બરબાદ કરે છે : મોદીએ કરેલ ટકોર

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મેરઠ : મેરઠમાં પ્રચાર સાથે મોદીએ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. મોદીએ પોતાના અંદાજમાં કહ્યું હતું કે, તેઓ કોઈની પણ સામે ઝુંકશે નહીં. આંતરરાષ્ટ્રીય સમુદાય હોય કે પછી આતંકવાદ હોય કોઇની પણ સામે ઝુંકવા માટે તૈયાર નથી. મોદીએ ઉમેર્યું હતું કે, લોકો દ્વારા ચૂંટી કાઢવામાં આવેલા ચોકીદારને ગુમાવવા માટે કંઇપણ નથી જેથી ચિંતા કરવા જેવી પણ બાબત કોઇ નથી. તેમણે ઉમેર્યું હતું કે, ચિંતા એ લોકો કરે છે જેમને પોતાના પરિવાર અને અન્યોની પડેલી છે. તેમણે ઉમેર્યું હતું કે, સમાજવાદી પાર્ટીના સ, આરએલડીના રા અને બસપના બનો અર્થ શરાબ થાય છે. શરાબ તમામ લોકોને બરબાદ કરે છે.

મોદીએ ઉમેર્યું હતું કે, મહામિલાવટી લોકો પાકિસ્તાનમાં હિરો બનવા ઇચ્છુક છે. આના માટે મહામિલાવટી લોકોમાં એક પ્રકારની સ્પર્ધા ચાલી રહી છે. ૧૩૦ કરોડ જનતા અમારી સાથે છે જેથી જીત પણ અમારી છે. ગરીબી હટાવોના નારા અંગે પણ મોદીએ વિપક્ષ ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, ગરીબી હટાવોના નારા વર્ષોથી આપવામાં આવી રહ્યા છે પરંતુ કોઇ કામ થઇ રહ્યા નથી. વિરોધ પક્ષોનું કામ ચૂંટણી આવતાની સાથે જ લોકોને ગેરમાર્ગે દોરવાના રહ્યા છે. મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જે લોકો ગરીબો માટે ખાતા ખોલાવી શક્યા નથી તે લોકો પાસેથી પૈસા ખાતામાં નાંખવાનો વિશ્વાસ રાખી શકાય નહીં.

બીજી બાજુ ઉત્તરાખંડના રુદ્રપુરમાં પણ મોદીએ કોંગ્રેસ પર સેના અને જવાનોના પરાક્રમના અપમાનનો આક્ષેપ કર્યો હતો અને આતંકવાદીઓના ઘરમાં ઘુસીને તેમને મોતને ઘાટ ઉતારી દેવાને લઇને પ્રશ્નો ઉઠાવનારની ઝાટકણી કાઢી હતી. મોદીએ મેરઠ રેલી બાદ ઉત્તરાખંડમાં પણ આક્રમક મુદ્દા ઉઠાવ્યા હતા.

Share This Article