પ્રધાનમંત્રીએ ટેકનપુરમાં ડીજીપી/આઇજીપી પરિષદનાં સમાપન સમારંભને સંબોધિત કર્યો

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read
The Prime Minister, Shri Narendra Modi addressing the Valedictory Ceremony at DGP/IGP Conference, at Tekanpur, in Madhya Pradesh on January 08, 2018.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટેકનપુરમાં બીએસએફ અકાદમીમાં ડિરક્ટર જનરલ ઑફ પોલીસ અને ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસની પરિષદનાં સમાપન સમારંભને સંબોધિત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધી પરિષદનાં આયોજન અને વ્યાપમાં ફેરફાર થયો છે. તેમાં આ પરિષદ વર્ષ ૨૦૧૪થી દિલ્હીની બહાર કોઈ સ્થળે યોજાઈ રહી છે. તેમણે આ પરિવર્તનને સુવિધાજનક બનાવવામાં માધ્યમ બનેલા અધિકારીઓની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હવે પરિષદ વધારે પ્રાસંગિક બની છે, ખાસ કરીને દેશનાં પડકારો અને જવાબદારીઓનાં સંદર્ભમાં. તેમણે જણાવ્યું હતું કે, પરિષદના નવા બંધારણને પરિણામે ચર્ચાની ગુણવત્તામાં સુધારો થયો છે.

દેશની સુરક્ષા વ્યવસ્થા માટે જે કાર્ય કરવામાં આવી રહ્યા છે તેની સાથે સંબંધિત વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જેઓ ઘણી વખત નકારાત્મક વાતાવરણમાં કામ કરે છે તેવા અધિકારીઓએ આજે એકત્ર થઇ નેતૃત્વ પ્રદાન કર્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં થોડાં કલાકોમાં આ પરિષદમાં ચર્ચાવિચારણાનાં પરિણામે ફરી એક વખત પોલીસ દળનો ઉદ્દેશ સ્પષ્ટપણે વ્યાખ્યાયિત થઈ ગયો છે અને તેનાં અમલ માટે ઘણાં સંયોજન કે સંકલનની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, આ પરિષદ ટોચનાં પોલીસ અધિકારીઓને સમસ્યાઓ અને પડકારો અંગે વધુ સંપૂર્ણ દ્રષ્ટિ આપવામાં મદદરૂપ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં બે વર્ષમાં પરિષદમાં ઘણાં મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ છે. તેમણે ઉમેર્યું હતું કે, આ વરિષ્ઠ પોલીસ અધિકીઓને સંપૂર્ણપણે નવો દ્રષ્ટિકોણ આપવામાં મદદરૂપ થશે.

આ પરિષદનું મહત્વ વધારવા પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું કે, કાર્યકારી જૂથો મારફતે આખું વર્ષ ફોલો અપ થવું જોઈએ. આ સંદર્ભમાં તેમણે યુવા અધિકારીઓને સાંકળવાનાં મહત્ત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, પરિષદની અસરકારકતામાં સુધારો કરવામાં મદદ મળશે.

પ્રધાનમંત્રીએ ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો પર માહિતીને વધારે વહેંચવા વૈશ્વિક સ્તરે સર્વસંમતિ ઊભી થઈ હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, આ સર્વસમંતિ ઊભી કરવામાં ભારતે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે જણાવ્યું હતું કે, જેમ દુનિયાભરમાં ઉદારીકરણની સ્વીકાર્યતામાં વધારો થયો છે, તેમ સુરક્ષાનાં મુદ્દાઓ પર પણ રાજ્યો વચ્ચે વધારે ઉદારતાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, સુરક્ષા પસંદગીપૂર્વક કે એકલા હાથે હાંસલ ન થઈ શકે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે પરંપરાઓ તોડવી પડશે અને રાજ્યો વચ્ચે માહિતીની વહેંચણી દરેક રાજ્યને વધારે સુરક્ષિત બનાવી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, “આપણે એસેમ્બલ એકમ તરીકે નહીં, પણ ઓર્ગેનિક એકમ તરીકે કામ કરવું જોઈએ.”

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સાયબર સુરક્ષાની સમસ્યાનું સમાધાન તાત્કાલિક થવું જોઈએ અને તેને સૌથી વધુ પ્રાથમિકતા મળવી જોઈએ. આ સંદર્ભમાં તેમણે સોશિયલ મીડિયાનાં મહત્ત્વનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વધારે અસરકારકતા માટે સંદેશાઓની વહેંચણી સ્થાનિક ભાષાઓમાં થવી જોઈએ. પ્રધાનમંત્રીએ ઉદ્દામવાદ પર પણ સમસ્યાગ્રસ્ત વિસ્તારોનાં પિનપોઇન્ટ સુધી પહોંચવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી.

પ્રધાનમંત્રીએ આઇબી અધિકારીઓને વિશિષ્ટ સેવા બદલ પ્રેસિડન્ટ્સ પોલીસ મેડલ્સ પણ એનાયત કર્યા હતાં. પ્રધાનમંત્રીએ તેમનાં સંબોધનમાં આઇબીનાં મેડલ વિજેતા અધિકારીઓને સેવામાં પ્રતિબદ્ધતા અને કટિબદ્ધતા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં તથા તેમની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથ સિંહ અને રાજ્ય કક્ષાનાં ગૃહમંત્રીઓ હંસરાજ આહિર અને કિરન રિજીજુ ઉપસ્થિત હતાં.

 

Share This Article