અભિનંદનનુ સ્વાગત કરવા અટારી બોર્ડરે લોકો ઉમટ્‌યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવ દિલ્હી : પાકિસ્તાનના કબજામાં રહેલા ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન આજે ભારત પરત ફરનાર છે. વિંગ કમાન્ડરને પાકિસ્તાને મુક્ત કરવાની જાહેરાત કર્યા બાદથી જ ભારતમાં તેના સ્વાગત માટે ઉત્સુકતા છે. ભારત અને વિશ્વના દેશોના તીવ્ર દબાણ સમક્ષ ઝુંકી જઇને આખરે અભિનંદનને છોડી મુકવા પાકિસ્તાને તૈયારી દર્શાવી હતી. આજે બપોર બાદ તેઓ અટારી સરહદ મારફતે ભારત પહોંચનાર છે. હવાઇ અથડામણ દરમિયાન વિંગ કમાન્ડર તેમનુ વિમાન તુટી પડ્યા બાદ પેરાશુટ સાથે નીચે ઉતરી રહ્યા હતા ત્યારે ફંગોળાઇ જઇને પાકિસ્તાનમાં પહોંચી ગયા હતા.

જ્યાં તેમને પાકિસ્તાની સેનાએ પકડી લીધા હતા. પાકિસ્તાનના યુદ્ધ વિમાનો ભારતીય ક્ષેત્રમાં હવાઈ હુમલાના પ્રયાસ કર્યા ત્યારે ભારતીય જેટે પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ કરી દીધા હતા. આ ગાળા દરમિયાન ભારતનું એક મિગ વિમાન તુટી પડ્યું હતું અને વિંગ કમાન્ડર અભિનંદન ખરાબ હવામાનના કારણે પવનના લીધે પાકિસ્તાન પહોંચી ગયા હતા. પેરાશૂટથી વિંગ કમાન્ડર કુદી ગયા ત્યારે ભારતના બદલે પાકિસ્તાનમાં નીચે ઉતરતા તેમને પાકિસ્તાની સૈનિકોએ પકડી લીધા હતા. ત્યારબાદથી સ્થિતિ વિસ્ફોટક બનેલી હતી. આખરે વિંગ કમાન્ડરને લઇને જોરદાર દબાણ પાકિસ્તાન ઉપર લાવવામાં આવ્યું હતું. ત્યારબાદથી સ્થિતિ ઝડપથી બદલાઈ રહી હતી.

બંને દેશો વચ્ચે સ્થિતિ વિસ્ફોટક પણ બની રહી હતી. યુદ્ધ જેવું વાતાવરણ થઇ ગયું હતું. પાકિસ્તાનને એવો ભય પણ હતો કે, અભિનંદનને છોડાવવા માટે ભારત કોઇ મોટી કાર્યવાહી કરી શકે છે. ઇમરાન ખાનના સંબોધનમાં આ અંગેની દહેશત સ્પષ્ટપણે નજરે પડી હતી. અભિનંદનને કોઇ પણ શરત વગર ભારતે છોડાવી લેવામાં સફળતા મેળવી છે.

Share This Article