જોશીમઠમાં ખેતરમાં ૬ ફૂટ ઉંડો ખાડો પડતા લોકો ચિંતિત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

આ વર્ષની શરૂઆતમાં ઉત્તરાખંડના ચમોલી જિલ્લાનું જોશીમઠ શહેર ચર્ચામાં રહ્યુ હતું. તેનું કારણ જોશીમઠમાં પડતી તિરાડો છે જેના કારણે લોકોને સ્થળાંતર કરવું પડી રહ્યું છે. અહીંના લોકો તેમના ઘર છોડીને રાહત શિબિરો, સમુદાય કેન્દ્રો વગેરેમાં આશ્રય લેવો પડ્યો છે. જેમાં આજે પણ જોશીમઠના કેટલાક રહેવાસીઓ આવી ભયંકર સ્થિતિમાં જીવન વિતાવી રહ્યા છે. તેનું કારણ એ છે કે ઘરો, હોટેલો અને રસ્તાઓમાં મોટી તિરાડો પડી ગયા બાદ લોકો પાસે રાહત કેમ્પમાં જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

ફેબ્રુઆરીના અંત સુધીમાં લગભગ ૮૬૮ મકાનો અને હોટલોમાં તિરાડો પડી ગઈ હતી. પોલીસ-વહીવટી તંત્ર દ્વારા કેટલાક મકાનો અને હોટેલો પર બુલડોઝર ચલાવીને રેડ માર્ક કરીને તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારે વહીવટીતંત્રે કહ્યું કે આ મકાનો અને હોટલો ગમે ત્યારે પડી શકે છે. તેથી જ તેઓને તોડી પાડવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ માર્ચથી જૂન સુધીના લગભગ ચાર મહિના સુધી જોશીમઠમાં તિરાડો પડવાની ઘટના ઓછી થઈ રહી છે, જે બાદ બધું શાંત પણ રહ્યું, પરંતુ થોડા દિવસો પહેલા એક ખેતરમાં છ ફૂટ ઊંડો ખાડો જોવા મળતા ફરી એકવાર લોકો ચિંતામાં મૂકાઈ ગયા છે.

સ્થાનિક રહેવાસીઓ દાવો કરે છે કે જોશીમઠના ભૂપ્રદેશની અસ્થિરતા માટે આ એક કારણ હોઈ શકે છે. હેમવતી નંદન બહુગુણા ગઢવાલ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના વડા પ્રોફેસર વાયપી સુન્દ્રિયાલે જણાવ્યું હતું કે આ સમયે ચોમાસું પૂરજોશમાં છે. વધુ વરસાદના કિસ્સામાં અહીં સમસ્યા વધી જશે. લોકોએ વધુ સાવચેત રહેવું જોઈએ. જે લોકો રાહત છાવણીમાં છે તેઓએ વરસાદ ન થાય ત્યાં સુધી કેમ્પમાં રહેવું જોઈએ. તમારા ઘર તરફ ન જશો. સાંભળવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો દિવસ દરમિયાન રાહત કેમ્પ છોડીને પોતાના ઘર તરફ જતા રહે છે.

Share This Article