પંચમહાલ: અમદાવાદમાંથી શરૂ થયેલી પેટ્રોલ-ડીઝલની અછત અંગેની અફવા ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી, જેના પગલે પંચમહાલ જિલ્લામાં પણ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અફવાના કારણે ગોધરા, શહેરા સહિતના વિસ્તારોમાં પેટ્રોલપંપ પર વાહનચાલકોની ભારે ભીડ જોવા મળી હતી.
સરકારે સ્થિતિની ગંભીરતા સમજતા નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન રાખવા અપીલ કરી હતી, છતાં લોકોમાં ભય યથાવત રહ્યો હતો. શહેરા નગરમાંથી પસાર થતા હાલોલ-શામળાજી હાઈવે પર આવેલા પેટ્રોલપંપ પર મોડી રાત સુધી વાહનચાલકોની લાઈનો લાગી રહી હતી. ઘણા લોકો કેરબા લઈને પેટ્રોલ-ડીઝલ ભરાવવા પહોંચ્યા હતા.
મોડી રાત સુધી, લગભગ સાડા અગિયાર વાગ્યા સુધી, પેટ્રોલપંપ પર ભારે ધસારો જોવા મળ્યો હતો. ગોધરા શહેરના પેટ્રોલપંપો તેમજ સ્ટેટ હાઈવે પર આવેલા પંપો પર લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા લોકો વધુ પ્રમાણમાં કેરબા સાથે પેટ્રોલ-ડીઝલ લેવા પહોંચ્યા હતા.
જોકે, કેટલાક પેટ્રોલપંપ સંચાલકોએ સુરક્ષા કારણોસર કેરબામાં પેટ્રોલ-ડીઝલ આપવા ઈનકાર કર્યો હોવાની માહિતી મળી છે. સોશિયલ મીડિયા પર અફવા ઝડપથી ફેલાતાં લોકોમાં ગભરાટ વધ્યો હતો અને સાંજથી જ પેટ્રોલ ભરાવાનો ધસારો શરૂ થઈ ગયો હતો.
હાલમાં ઉનાળાની ખેતીને કારણે ડીઝલની માંગ પણ વધી છે, જેથી ખેડુતો માટે આ સ્થિતિ વધુ ચિંતાજનક બની હતી. ટુ-વ્હીલર ઉપરાંત ટેમ્પા, કાર અને ટ્રેક્ટરોનો પણ મોટા પ્રમાણમાં જમાવડો પેટ્રોલપંપ બહાર જોવા મળ્યો હતો. આમ માત્ર અફવાના કારણે જિલ્લામાં અસ્થિરતા સર્જાઈ હતી અને પ્રશાસન માટે પરિસ્થિતિ સંભાળવી પડકારરૂપ બની હતી.
