આધ્યાત્મિક ચેતના થી રાષ્ટ્રચેતનાના અભિયાન અંતર્ગત આસ્થા, એકતા અને ઊર્જાના ધામ સમા વિશ્વ ઉમિયા ધામમાં જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જાસપુર મુકામે આવેલા વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિર ખાતે ત્રિદિવસીય પંચમ પાટોત્સવ મહોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી. પંચમ પાટોત્સવ પ્રસંગે જગતજનની માં ઉમિયા ના મંદિરનું વહેલી સવારે ધજારોહણ કરવામાં આવ્યું હતું તો સાથે જ માતાજીને અન્નકૂટ ધરાવાયો હતો. બપોરે લગભગ 11:30 ના સુમારે જગત જનની માં ઉમિયા ની અને અન્નકૂટ દર્શનની આરતી કરાઈ હતી જેમાં ભક્તોએ ભાવવિભોર થઈ ભાગ લીધો હતો. તો સાથે જ નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
પંચમ પાટોત્સવ પ્રસંગે વિશ્વ ઉમિયાધામના પ્રણેતા એવમ પ્રમુખ આરપી પટેલ અને તેમના ધર્મપત્ની દ્વારા શ્રી યંત્ર પૂજા એવમ તિલક પૂજા કરાઈ હતી. વિશ્વ ઉમિયા ધામ દ્વારા આધ્યાત્મિકતા સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે માતાજીના શરણે રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું હતું જેમાં ભાવિ ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ કાર્યક્રમ અંગે ચર્ચા કરતા પ્રમુખ આર.પી પટેલ જણાવે છે કે વિશ્વ ઉમિયાધામ એ આસ્થા ઉર્જા અને એકતા નું કેન્દ્ર છે. અહીં ન માત્ર મંદિર પરંતુ સામાજિક ઉત્કર્ષના કાર્યોને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. વિશ્વ ઉમિયા ધામના કાર્યોની સુવાસ ન માત્ર દેશ પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાય તે હેતુથી પૂર જોશમાં કાર્ય ચાલી રહ્યું છે. વિશ્વ ઉમિયા ધામ એ સનાતન ધર્મના કાર્યોમાં દિવસે અને દિવસે આગળ વધતું રહે તેવી જગત જનની માં ઉમિયા ને પ્રાર્થના કરીએ.