નેશનલ પોપ્યુલેશન રજિસ્ટ્રાર અને નેશનલ રજિસ્ટ્રાર ઓફ સિટિઝન બંનેમાં કોઇપણ પ્રકારના કનેક્શન રહેલા નથી. કેન્દ્ર સરકારે આ સંદર્ભમાં અફવા, આશંકાઓ અને કોઇપણ પ્રકારના ભ્રમથી દૂર રહેવા માટે લોકોને અપીલ કરી છે. સાથે સાથે સાફ શબ્દોમાં કહ્યું છે કે, બંનેમાં વ્યાપક અંતર છે.
ગૃહમંત્રી અમિત શાહે આપેલી એક મુલાકાતમાં સાફ શબ્દોમાં કહ્યું હતું કે, એનપીઆર અને એનઆરસીની વચ્ચે દૂર દૂર સુધી કોઇ સંબંધ નથી. બંનેમાં ખુબ અંતર છે. એનપીઆર વસતી રજિસ્ટર છે જેના આધાર પર અલગ અલગ યોજનાઓના આકાર બનાવવામાં આવે છે જ્યારે એનઆરસીમાં દરેક વ્યક્તિ પાસેથી પુરાવા માંગવામાં આવે છે. કયા આધાર પર ભારતના નાગરિક છે તેવા પુરાવા માંગવામાં આવે છે. અમિત શાહે ગઇ કાલે આ સંદર્ભમાં વિગતવાર માહિતી આપી હતી. જુદા જુદા વિષય ઉપર અમિત શાહે ખુલાસા કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે, વિરોધ પક્ષો લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. એનઆરસી માટે જુદા નિયમો છે. બંને કાનૂન પણ અલગ અલગ છે જેથી આને લઇને દુવિધામાં રહેવાની કોઇ જરૂર દેખાતી નથી. સીએએ, એનઆરસી અને એનપીઆરના સંદર્ભમાં અમિત શાહે સ્પષ્ટપણે વાત કરી હતી. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, તમામ પ્રકારની શંકાઓ અને ભ્રમને દૂર કરવાના પ્રયાસો અવિરતપણે કરવામાં આવી રહ્યા છે.