હવે એએપીને વધુ એક મોટો ફટકો : ખેતાને પાર્ટી છોડી છે

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીમાં આશુતોષના રાજીનામા બાદ આશરે એક સપ્તાહ પછી હવે તેમની સાથે જ આ પાર્ટીમાં સામેલ થયેલા વધુ એક નેતા આશીષ ખેતાને પણ પાર્ટી સાથે છેડો ફાડી લેવાની જાહેરાત કરી છે. આની સાથે જ આમ આદમી પાર્ટીની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઉભા થઇ ગયા છે. કારણ કે પાર્ટી સાથે એક પછી એક નેતાઓ છેડો ફાડી રહ્યા છે.

દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા અરવિન્દ કેજરીવાલની કામ કરવાની નીતિ સામે તમામ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આશીષ ખેતાને જાહેરાત કરી છે કે તેઓ હાલમાં લીગલ પ્રેકટીસ પર કેન્દ્રિત છે. જેથી તેઓ સક્રિય રાજનીતિથી છેડો ફાડી રહ્યા છે. આશીષ ખેતાને ટ્વિટ કરીને કહ્યુ છે કે તેઓ હાલમાં સંપૂર્ણરીતે લીગલ પ્રેકટીસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઇચ્છુક છે. આશીષ ખેતાન દિલ્હી ડાયલોગ કમીશનના નાયબ અધ્યક્ષ તરીકે રહ્યા છે. એપ્રિલ ૨૦૧૮માં તેઓએ આ હોદ્દા પરથી રાજીનામુ આપી દીધુ હતુ.

એવા અહેવાલ આવ્યા છે કે ખેતાનને લોકસભા ચૂંટણી માટે પોતાની પસંદગીની બેઠક મળી રહી ન હતી. જથી નારાજ થઇને પાર્ટી સાથે છેડો ફાડી લીધો છે. અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો આશરે એક સપ્તાહ પહેલા જ ખેતાને પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ હતુ. પરંતુ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલ તેમને મનાવવામાં લાગેલા હતા. તમામ લોકો જાણે છે કે છેલ્લી ચૂંટણીમાં ખેતાને નવી દિલ્હી લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર મિનાક્ષી લેખીને હાર આપી હતી. ભારે અંતરથી તેમની જીત થઇ હતી. ખેતાને પાર્ટી સાથે છેડો ફાડી લેતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે.

Share This Article