મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉનાળાની ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થઈ શકે તે માટે ચેકડેમ – તળાવ ભરવા સાથે લોકોને પીવાના પાણીની સમસ્યા પણ ન રહે તેવો જન હિતકારી અભિગમ નર્મદા જળ વિતરણથી અપનાવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના કિસાનો – અગ્રણીઓ દ્વારા કરાયેલી રજૂઆતોનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા તેમણે આ ખેડૂત હિતલક્ષી ર્નિણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ તા. ૩૦મી જુન ૨૦૨૫ સુધી નર્મદાનું 30,689 MCFT પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારો માટે ફાળવવાનો ર્નિણય કર્યો છે.
તદઅનુસાર, ઉત્તર ગુજરાત માટે નર્મદાનું ૧૪૫૩૯ MCFT અને સૌરાષ્ટ્ર માટે ૧૬૧૫૦ MCFT પાણી આપવામાં આવશે.
નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્ધવહન પાઇપલાઇન મારફતે ઉત્તર ગુજરાતના ૯૫૦થી વધુ તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેન્ડીંગ કેનાલથી આ પાણી પુરક સિંચાઈ અને પીવાના હેતુસર અપાશે. એટલું જ નહીં સૌરાષ્ટ્ર વિસ્તારના ૨૪૩ તળાવો અને ૧૮૨૦ ચેકડેમમાં નર્મદા જળ પહોંચાડવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીના આ ર્નિણયને પરિણામે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની કુલ ૬૦ હજાર એકરથી વધુ ખેતીલાયક જમીનને નર્મદા જળથી સિંચાઈનો લાભ મળતો થશે.