હવે કોઈ પણ મિલકતોના દસ્તાવેજ પેન્ડિંગ નહીં રહે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

દસ્તાવેજોની નોંધણીને લઈને રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે મહત્ત્વનો ર્નિણય લીધો છે. પક્ષકારો અને અધિકારીઓના મેળાપીપળા વચ્ચે ભ્રષ્ટાચાર અને ગોટાળાની શક્યતાઓને રોકવા માટે થઈને હવે જમીન મિલકતના દસ્તાવેજોની નોંધણી પેન્ડિંગ રાખી શકાશે નહીં. મહેસૂલ વિભાગે એક જ ઝાટકે નોંધણીની પ્રક્રિયા પેન્ડિંગ રાખવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિ. ઓફ સ્ટેમ્પ્સ જેનુ દેવનની સહીથી મંગળવારે પ્રસિદ્ધ પરિપત્રનો અમલ પહેલી જુલાઈથી થઈ ગયો છે. પહેલી જુલાઈથી અધૂરા પુરાવા સાથે રજૂ થતા તમામ દસ્તાવેજોનું રજિસ્ટ્રેશન બંધ થશે. સરકારના મહત્ત્વપૂર્ણ ર્નિણયને કારણે આગામી દિવસોમાં આ પ્રક્રિયામાં સરકારે થતું આર્થિક નુકસાન બંધ થશે તેવો દાવો કરાયો છે. મહેસૂલી રેકર્ડમાં દસ્તાવેજના એન્ડોર્સમેન્ટ પેજ તેમજ પેન્ડિંગ રજિસ્ટરમાં પેન્ડિંગ બાબતે કોઈ જ નોંધ થતી નથી. એટલું જ નહી, પક્ષકાર તરફથી ખૂટતા આધારા પુરાવા રજૂ કરવા કોઈ સમય મર્યાદા પણ નક્કી નથી.

મિલકતનું મુલ્ય નક્કી કરવાનો સમયગાળો પણ ફિક્સ નથી. આ સંજોગોમાં ઓછી સ્ટેમ્પ ડ્યૂટીના લાભ સામે આર્થિક ભ્રષ્ટાચાર વધે છે, વહિવટી ગોટાળા થતા સરકારને નુકસાન થાય છે. આ પરીપત્ર મારફતે તમામ સબ રજિસ્ટ્રાર, નાયબ કલેક્ટરોને આદેશ થયો છે. જેમાં કહેવાયુ છે કે, નોંધણી અધિનિયમ-૧૯૦૮, નોંધણી નિયમો-૧૯૭૦, સ્ટેમ્પએક્ટ ૧૯૫૮, બજાર કિંમત નક્કી કરવાના નિયમો ૧૯૭૦, સ્ટેમ્પ ડ્યુટી એક્ટ ૧૯૫૮ બજાર કિંમત નક્કી કરવા માટેનો નિયમ ૧૯૮૪, સ્થાયી સુચના મુજબ તમામ સ્તરેથી ચકાસણી કર્યા બાદ યોગ્ય જણાય તો જ દસ્તાવેજ નંબર જનરેટ કરવો. જો આ તમામ જોગવાઈ પરિપૂર્ણ ન કરે તેવા દસ્તાવેજોની નોંધણી કરવી નહી. એટલુ જ નહિ, આ અંગેની જાણ પક્ષકારને લેખિતમાં જાણ કરી કચેરીની નકલમાં તેની સહી લઈને સાત દિવસમાં આધાર પુરાવા રજૂ કરવા, સ્ટેમ્પ ડ્યૂટીની અધૂરી રકમ ભરપાઈ કરવાની જાણ કરવી પડશે. જો પક્ષકાર સાત દિવસની અંદર ખૂટતી બાબતની પૂર્તતા ન કરે, સ્ટેમ્પ ડ્યૂટીની અધૂરી રકમ ભરપાઈ કરવામાં નિષ્ફળ રહે તો આ દસ્તાવેજ તેને પરત આપી દેવાનો રહેશે. સાત દિવસ પછી પૂર્તતા થશે તો પક્ષકારને નવેસરથી ટોકન લેવું ફરજિયાત બન્યું છે.

Share This Article