નિરવ મોદીને કસ્ટમ વિભાગે ઉપસ્થિત રહેવા ફરમાન કર્યુ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : પંજાબ નેશનલ બેંક સહિત કરોડો રૂપિયાનું કૌભાંડ આચરીને વિદેશમાં બેઠેલાં દેશના મહાઠગ નિરવ મોદીને કસ્ટમ વિભાગે હાજર રહેવા માટેનો મહત્વનો આદેશ કર્યો છે. કસ્ટમ વિભાગે સુરતમાં ૩ યુનિટમાં કરોડોનાં ડાયમંડનાં કરોડોનાં ઓવર વેલ્યુએશન મામલે નિરવ મોદીને કસ્ટમ વિભાગે આગામી તા.૧૫ નવેમ્બર સુધીમાં હાજર થવા ફરમાન કર્યું છે. મહત્વનું છે કે પીએનબી કૌભાંડનાં આરોપી નિરવ મોદી વિરૂદ્ધ સુરતમાં વોરંટ ઈશ્યું કરવામાં આવ્યું છે. અગાઉ સુરત કોર્ટે આઇપીસીની કલમ ૮૨ મુજબ વોરંટ ઈશ્યુ કરીને ભાગેડું જાહેર કર્યો છે.

નોંધનીય છે કે કોર્ટે નિરવ મોદીને હાજર રહેવા માટે મેઈલ પણ કર્યો હતો. તેમ છતાં તે હાજર ન રહેતાં તેની વિરૂદ્ધ કોર્ટે વોરંટ ઈશ્યુ કર્યું છે. ત્યારે હવે કસ્ટમ વિભાગે નિરવ મોદીને આગામી તા.૧૫ નવેમ્બરનાં રોજ હાજર રહેવા માટેનો આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સુરતની કોર્ટે હીરા વેપારી નીરવ મોદીને ટેક્સની ચોરીનાં મામલે ભાગેડું જાહેર કર્યો છે. ડીઆરઆઇએ હીરાની આયાત પર લાગનાર કસ્ટમ ડ્‌યૂટીની કથિત ચોરી કરવાને લઇ તેનાં વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

મુખ્ય જજ મેજિસ્ટ્રેટે ડિસેમ્બર ૨૦૧૪માં ડીઆરઆઇની મુંબઇનાં સ્થાનિક એકમ દ્વારા નીરવ મોદી વિરૂદ્ધ કેસ દાખલ કરાવવા મામલે હીરા વેપારીને ભાગેડું જાહેર કર્યો હતો. ડીઆરઆઇનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરતમાં સ્થિત નીરવ મોદીની કંપનિઓ કથિત રીતે કસ્ટમ ડ્‌યૂટીની ચોરી સાથે સંકળાયેલ હતી. જા કે, તમામ કાનૂની આદેશો અને સંબંધિત એજન્સીઓના સમન્સ અને પ્રક્રિયાઓ છતાં હજુ સુધી નીરવ મોદી તરફથી કોઇ પ્રતિસાદ આપવામાં આવતો નથી, તે ઘણી ગંભીર અને અદાલતના તિરસ્કાર સમાન વર્તણૂંક કહી શકાય.

 

Share This Article