ભાઈ ભાઈ… જેટલી યાત્રા કરશો એટલા જ FASTagsમાંથી રૂપિયા કપાશે! કેવી રીતે કામ કરશે કિલોમીટર બેસ્ડ ટોલ પોલિસી?

Rudra
By Rudra 2 Min Read

માર્ગ પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દેશમાં ઘણાં નવા ટોલ નિયમો અમલમાં મૂકવાની યોજના બનાવી રહ્યું છે. આ નિયમ અંતર્ગત વાહન ચાલકોને માત્ર એટલો જ ટેક્સ ચૂકવવો પડશે, જેટલા કિમીની તેઓ મુસાફરી કરી રહ્યાં છે. આ નવી ટોલ પોલિસી કિલોમીટર આધારિત ટેક્સની વસૂલાત કરશે. જો કે હજુ સુધી સરકારે આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. તો આવો જાણીએ શું છે આ કિલોમીટર બેસ્ડ ટોલ પોલિસી…

ETના એક અહેવાલ અનુસાર આ પોલિસી અંતર્ગત દરેક ટોલ બુથ પર ફાસ્ટેગ (FASTags) અને કેમેરા લગાવવા આવશે અને ટોલ સીધો કાર માલિકના બેન્ક ખાતામાંથી વસૂલવામાં આવશે. સરકાર નવી ટોલ પોલિસીને લાગુ કરવા માટે ઓટોમેટિક નંબર પ્લેટ રિકોગ્નિશન ટેક્નોલોજી પર બેસ્ડ એડવાન્સ સિસ્ટમ શરૂ કરવાની પ્રક્રિયામાં છે. આ નીતિ દેશભરના એક્સપ્રેસવે અને રાષ્ટ્રીય રાજમાર્ગો પર યાત્રા કરનાર લોકોને રાહત આપવા માટે બનાવવામાં આવી છે.

જણાવી દઈએ કે, હાલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ટોલ નિયમ 2008 અનુસાર, યુઝર્સને એક માર્ગ પરિયોજના અંતર્ગત માર્ગની લંબાઈના આધારે એક નક્કી રકમની ટોલ ફી ચૂકવવી પડે છે. જે સામાન્ય રીતે 60 કિમી હોય છે. જો આ નવી ટોલ પોલિસી લાગુ કરવામાં આવે છે તો ન માત્ર યાત્ર સરળ બનશે પણ સસ્તી પણ થશે.

કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ?

રિપોર્ટ અનુસાર ટોલ બુથ પર લાગેલા કેમેરા કારની નંબર પ્લેટને રેકોર્ડ કરશે અને ફાસ્ટેગ સાથે જોડાયેલી બેન્કના ખાતામાંથી ટોલ કપાઈ જશે. તે સિવાય ટોલ ટેક્સ વાહન દ્વારા નક્કી કરવામાં આવેલી કિલોમીટર યાત્રાના આધારે કાપવામાં આવશે. એટલે કે વપરાશકર્તાને એટલો જ ટેક્સ ચૂકવવો પડશે જેટલા કિલોમીટર તેઓએ યાત્રા કરી છે.

જો યુઝરના બેન્કમાં ટોલની રકમ અનુસાર બેલેન્સ નહીં હોય તો પેનલ્ટી લાગી શકે છે. સાથે જ વર્તમાન પોલિસી અનુસાર યૂઝરને ઓછામાં ઓછા 60 કિમી માટે ટોલ આપવો પડશે. જો કે નવી પોલિસી કિલોમીટર આધારિત થવા જઈ રહી છે, એટલા માટે યાત્રિકો માટે તે વધુ ફાયદાકારક રહે તેવી આશા છે.

Share This Article