એનડીએની સત્તામાં વાપસી થઇ શકે : ૨૮૩ સીટ મળશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી માટે તમામ પક્ષો તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે ટીવી ચેનલોના સર્વે આવવા લાગી ગયા છે. સટ્ટાબજાર બાદ વહે ટાઈમ્સ નાઉ અને વીએમઆરના સર્વેમાં પણ કેટલીક બાબતો સપાટી ઉપર આવી રહી છે. સર્વે મુજબ એનડીએ ફરીથી બહુમતિના જાદુઈ આંકડાને પાર કરી શકે છે. સર્વે મુજબ એનડીએને ૫૪૩ પૈકી ૨૮૩ સીટો અને યુપીએને ૧૩૫ સીટ મળી શકે છે. હિન્દી પટ્ટાના રાજ્યોમાં ભાજપનો દબદબો અકબંધ રહ્યો છે.

સર્વે મુજબ ભાજપ અને સાથી પક્ષો બહુમતિના આંકડાને મેળવી લેશે. અન્ય પાર્ટીઓના ખાતામાં ૧૨૫ અને યુપીએના ખાતામાં ૧૩૫ સીટો આવી શકે છે. ઉત્તરપ્રદેશમાં ૨૦૧૪ જેવો દેખાવ ભાજપ કરી શકશે નહીં. આ વખતે ભાજપને ૪૨ સીટોથી સંતોષ કરવાની ફરજ પડશે. મહાગઠબંધનના ખાતામાં ૩૬ અને કોંગ્રેસને બે સીટો મળી શકે છે. હિન્દી પટ્ટા દિલ્હીમાં સાતે સાત સીટ પર ભાજપની જીત થઇ શકે છે. મધ્યપ્રદેશમાં ૨૨ સીટો અને રાજસ્થાનમાં ૨૦ સીટો મળી શકે છે.

બંગાળમાં પણ ભાજપ સારો દેખાવ કરશે. વોટ શેયર મુજબ કોંગ્રેસ અને ડાબેરીઓને કોઈ સીટ મળશે નહીં. બિહારમાં આ વખતે પણ સ્થિતિ સારી રહી શકે છે. એનડીએને ૨૭ સીટો મળી શકે છે. લોકસભા ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ સટ્ટાબજારમાં પણ જોરદાર તેજી આવી ગઇ છે. રાજસ્થાનમાં જોધપુરનજીક ફલોદમાં સટ્ટા માર્કેટ ફરી સક્રિય છે. સટ્ટા માર્કેટમાં કહેવામાં આવ્યુ છે કે એનડીએ સરકાર કેન્દ્રમાં સરળતાથી નવી સરકાર બનાવી લેશે. સટ્ટા માર્કેટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ એકલા હાથે ૨૫૦થી વધારે સીટ જીતી જશે. જ્યારે એનડીએ તો ૩૦૦-૩૧૦ સીટ જીતી જશે.

Share This Article