શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબુદી બાદ આજે બકરી ઇદના પ્રસંગે સંપૂર્ણ શાંતિ પ્રવર્તી રહી છે. મુસ્લિમ સમુદાયના લોકો આજે બહાર નિકળ્યા હતા. જુદી જુદી મસ્જિદોમાં ઇદની નમાજ અદા કરવામાં આવી હતી. લોકો એકબીજાને મળતા પણ નજરે પડ્યા હતા. કેટલાક નિયમો અમલી રાખવામાં આવ્યા હતા. લોકોને તહેવારમાં કોઇ અડચણો ન પડે તે માટે વિવિધ પગલા લેવામાં આવ્યા હતા. બકરી ઇદ પહેલા સામાન્ય લોકોને ઉજવણીમાં કોઇ તકલીફ ન પડે તે માટે કાશ્મીર ખીણના અનેક જિલ્લાઓમાં સંચારબંધી હળવી કરવામાં આવી છે. જો કે, અજંપાભરી શાંતિ કાશ્મીર ખીણમાં પ્રવર્તી રહી છે.
બકરી ઇદના તહેવારને ધ્યાનમાં લઇને તહેવારમાં કોઇ અડચણ ઉભી ન થાય તેવા પ્રયાસ તંત્ર દ્વારા કરાયા છે. શ્રીનગર, અનંતનાગ અને બડગામ જિલ્લામાં લોકોને રસ્તા પર લોકોને બહાર નિકળવાની મંજુરી પણ આપવામાં આવી છે. સામાન્ય લોકો ઇદ પહેલા બજારોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદતા નજરે પડ્યા હતા. બીજી બાજુ બકરી ઇદના પર્વ પર સ્થાનિક લોકોમાં કોઇપણ પ્રકારની દહેશત ન રહે તે માટે પણ પ્રયાસ થઇ રહ્યા છે. સ્કુલ અને કોલેજો પણ ખુલી ચુકી છે. ઉપરાંત સરકારી કર્મચારીઓને સમયસર ઓફિસ પહોંચવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.
અલબત્ત સાવચેતીના પગલારુપે જમ્મુ કાશ્મીરમાં હજુ પણ પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત રાખવામાં આવ્યા છે. પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક કૃત્યો જારી રાખવામાં આવ્યા બાદ હાલમાં સાવચેતી જરૂરી દેખાઈ રહી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ દ્વારા પોતાના વિશ્વસનીય લોકો પાસેથી માહિતી મેળવવાની પ્રક્રિયા જારી રહી છે. તેમના સૂચન મુજબ જ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. જમ્મુ કાશ્મીરની સાથે સાથે તંગદિલીગ્રસ્ત કાશ્મીર ખીણની સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે. જમ્મુના મોટાભાગના વિસ્તારોમાંથી સંચારબંધી દૂર કરી દેવામાં આવી છે. જો કે સુરક્ષા અકબંધ રાખવામાં આવી છે.