૨૦૧૯-૨૦માં ૨૦ લાખથી વધુ પ્રવાસીઓ આવવાનો અંદાજ

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

અમદાવાદ : પૃથ્વી પરના સ્વર્ગ તરીકે ઓળખાતા જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી પ્રવાસીઓ અને યાત્રાળુઓની સંખ્યામાં દિન પ્રતિદિન નોંધનીય વધારો નોંધાઇ રહ્યો છે. ગયા વર્ષે જયાં જમ્મુ-કાશ્મીરમાં દેશભરમાંથી સાડા સાત લાખ પ્રવાસીઓ આવ્યા હતા, તેની સામે ૨૦૧૮માં ૧૧ લાખથી વધુ પ્રવાસીઓએ જમ્મુ-કાશ્મીરના પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી. તો, લાખો યાત્રાળુઓએ માતા વૈષ્ણોદેવી અને બાબા અમરનાથની મુલાકાત લઇ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

જમ્મુ-કાશ્મીરમાં ૨૦૧૯-૨૦ દરમ્યાન આશરે ૨૦ લાખ પ્રવાસીઓ મુલાકાત લે તેવો અંદાજ સેવવામાં આવી રહ્યો છે, જેને લઇ જમ્મુ કાશ્મીર ઉપરાંત, જમ્મુ કાશ્મીર ટુરીઝમ અને જમ્મુ કાશ્મીર યાત્રાધામ અને પર્યટન ટુર ઓપરેટર્સ ફોરમ(પિલટોફ) સહિતના સત્તાધીશો દ્વારા ખાસ આયોજન કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર ફરવા આવતાં અને માતા વૈષ્ણોદેવી અને બાબા અમરનાથના દર્શનાર્થે આવતાં યાત્રાળુઓમાં ૪૦ ટકા તો ગુજરાત અને ગુજરાતીઓ હોય છે. આમ જમ્મુ-કાશ્મીરના ટુરીઝમ ઉદ્યોગમાં ગુજરાત અને ગુજરાતી પ્રવાસીઓનો નોંધનીય ફાળો રહ્યો છે એમ અત્રે પિલટોફના ચેરમેન નાસીર શાહ અને જમ્મુ-કાશ્મીર ટુરીઝમના ડાયરેકટર નીસાર વાનીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ટુરીઝમ ઉદ્યોગને વેગ આપવા અને પ્રવાસીઓની સાધન-સુવિધામાં વધારો કરવાના હેતુથી હવાઇ અને રેલ માર્ગની સુવિધામાં નજીકના ભવિષ્યમાં ઉમેરો કરવાનું આયોજન ચાલી રહ્યું છે. જેમાં એપ્રિલ માસથી અમદાવાદથી જમ્મુ તાવી સુધીની નવી બે ટ્રેનો રેલવે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવનાર છે. આ સિવાય હાલ, અમદાવાદથી શ્રીનગર સુધીની સીધી બે ફલાઇટોની સુવિધા પ્રાપ્ય છે, વધુ ફલાઇટની સેવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. પિલટોફના સભ્યોએ અતુલ્ય ભારતનો તાજ કહેવાતા કાશ્મીરને પ્રમોટ કરવામાં જમ્મુ-કાશ્મીર સરકારને હંમેશા મદદ કરી છે. કાશ્મીર એ પૃથ્વી પરનું સ્વર્ગ છે અને ઝળહળતી નદીઓ, રમણીય સરોવરો, સોહામણા બગીચા અને અનંત કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો ધરાવે છે. બાબા અમરનાથ અને વૈષ્ણોદેવી જેવા પવિત્ર તીર્થધામોની દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ મુલાકાત લે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે.

જમ્મુ-કાશ્મીરના પ્રવાસીઓમાં દક્ષિણ ભારત ઉપરાંત હવે પશ્ચિમ ભારતના ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્રના પ્રવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમેરાયા છે. જમ્મુ-કાશ્મીરના આંતકવાદ કે છૂટીછવાઇ ઘટનાઓના ડર વિશે છેદ ઉડાડતાં પિલટોફના ચેરમેન નાસીર શાહ અને જમ્મુ-કાશ્મીર ટુરીઝમના ડાયરેકટર નીસાર વાનીએ પ્રવાસીઓને ભરોસો અપાવતાં જણાવ્યું કે, જે કોઇ ઘટના ઘટે છે તે ત્યાંના બોર્ડર એરિયામાં બનતી હોય છે અને તે પણ કયારેક. બાકી, જમ્મુ-કાશ્મીરના પ્રવાસન સ્થળો કે ધાર્મિક સ્થાનોએ ચિંતા જેવું કોઇ વાતાવરણ નથી. તેનું જ કારણ છે કે, દર વર્ષે જમ્મુ-કાશ્મીરના પ્રવાસીઓમાં લાખોની સંખ્યામાં ઉમેરો નોંધાઇ રહ્યો છે. આજના  પ્રસંગે ગુજરાત સરકારના ટુરીઝમ વિભાગનાપ્રિન્સીપાલ સેક્રેટરી એસ.જે.હૈદર અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા  હતા, જયારે જમ્મુ-કાશ્મીરના ટુરીઝમ વિભાગના સેક્રેટરી રીગઝીન સામ્ફેલ, ટાગના પ્રમુખ પંકજ ગુપ્તા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article