અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રોજ આંખ આવવાના ૧૫થી વધુ કેસ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં બધા જ જિલ્લામાં સારો એવો વરસાદ વરસી ચુક્યો છે. જો કે બીજી તરફ વરસાદ બાદ બીમારીઓનું પ્રમાણ પણ વધતુ જઇ રહ્યુ છે. ખાસ કરીને આંખ આવવાના કેસ એટલે કે કન્જક્ટિવાઇટિસના કેસમાં વધારો થતો જઇ રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રોજ આંખ આવવાના ૧૫થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. અમદાવાદમાં ચોમાસાના આગમન સાથે બીમારીઓમાં પણ વધારો થતો જઇ રહ્યો છે. મચ્છર અને પાણીજન્ય રોગચાળા સાથે કન્જક્ટિવાઇટિસના કેસ પણ નોંધાઇ રહ્યા છે. અમદાવાદની સોલા સિવિલ ખાતે કન્જક્ટિવાઇટિસના કેસમાં ૪૦ ટકા જેટલો વધારો નોંધાઇ રહ્યો છે. અગાઉ સિવિલમાં કન્જક્ટિવાઇટિસના રોજ માંડ એક કે બે કેસ આવતા હતા. તેના સ્થાને અત્યારે સિવિલ હોસ્પિટલમાં રોજ ૧૫થી વધુ કેસ આવી રહ્યા છે. કન્જક્ટિવાઇટિસના કેસ વધતા આંખમાં નાખવાના ડ્રોપ્સની દવાની ખરીદીમાં પણ વધારો થતો જઇ રહ્યો છે.

જો કે તબીબો દ્વારા લોકોને ડોક્ટરની સલાહ વિના કોઇપણ ડ્રોપ્સ ન લેવા માટે અપીલ કરવામાં આવી છે. સાથે જ આ વાયરલ ઇન્ફેક્શનને લઇને સાવચેત રહેવાની પણ સલાહ આપવામાં આવી છે. તબીબોના જણાવ્યા પ્રમાણે આંખમાં રહેલા મેમ્બ્રેન્સમાં સોજો આવવાથી આંખમાં સોજો આવે છે. જેના કારણે આંખો લાલ થઇ જાય છે. આંખમાં ખંજવાળ આવવાથી ક્યારેક કેટલાક લોકો આડેધડ કોઇપણ ટીપા નાખી દેતા હોય છે. ત્યારે ડોક્ટરના માર્ગદર્શન વગર દર્દીઓ કોઇપણ ટીપા ન નાખવા તબીબોએ અપીલ કરી છે.

Share This Article