રાજસ્થાનની શાળા દુર્ઘટનામાં ભોગ બનેલા બાળકોને મોરારીબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી અને સહાય અર્પણ કરી

Rudra
By Rudra 1 Min Read

રાજસ્થાનમાં ઝાલાવાડ જીલ્લામાં ગઈકાલે એક કરુણ ઘટના બની હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૭ બાળકોનાં મોત નિપજયા હતા. મળતી વિગતો અનુસાર રાજસ્થાનના ઝાલાવાડ જીલ્લામાં પીપલોદ ગામમાં ગઈકાલે સવારે એક પ્રાથમિક શાળાના વર્ગખંડનો સ્લેબ તૂટી પડ્યો હતો અને તેને કારણે વર્ગમાં બેઠેલાં અનેક બાળકો કાટમાળમાં દબાઈ ગયાં હતા. તે પૈકી સાત બાળકોનાં મોત નિપજયા હતા. આ કરુણ ઘટનામાં અનેક બાળકો ઈજાગ્રસ્ત પણ થયા છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલા નિર્દોષ બાળકોને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૦૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.

આ રાશિ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક રામકથાના શ્રોતા ની સહાયતા લઈ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને
દિલસોજી પાઠવી છે.

Share This Article